ભાવનગર જિલ્લાના પ્રવિણભાઈ ૨૦ દિવસના સંઘર્ષ બાદ કોરોના સામે જંગ જીત્યા

Share to

માનસિક રીતે ‘પોઝિટિવ’ રહીશું તો કોરોનાને જલ્દી ‘નેગેટિવ’ કરી શકીશું: પ્રવિણભાઈ

સૂરતઃશનિવારઃ- કોરોના સંક્રમિત દર્દીઓની હિંમત અને કોરોના વોરિયર ડોક્ટર્સની મહેનત જ્યારે સાથે મળે છે ત્યારે કોરોનાને પણ હાર માનવી પડે છે. મૂળ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વરલ ગામના ૪૧ વર્ષીય પ્રવિણભાઈ અમરાભાઈ કવાડ સુરતની સિવિલ હોસ્પિટલમાં ૨૦ દિવસની સંઘર્ષમય અને દીર્ઘ સારવાર બાદ કોરોના સામે જંગ જીત્યા છે. પ્રવિણભાઈને ૫૫ ટકા ફેફસાંમાં કોરોનાનું ઈન્ફેકશન હતું. ૧૫ દિવસ બાયપેપ રહીને સ્વસ્થ થયાં છે. તબીબોની મહેનત રંગ લાવી હતી, જ્યારે ગત તા.૧૪ મે ના રોજ તેઓને સંપૂર્ણ સ્વસ્થ કરીને ઘરે મોકલ્યા હતાં.

               પ્રવિણભાઈએ જણાવ્યું કે, તાવ, ખાંસી, કફ જેવા પ્રાથમિક લક્ષણો હોવાથી વતનમાં ખાનગી દવાખાનામાં પ્રાથમિક સારવાર લીધી. પરંતુ શ્વાસ લેવામાં તફલીફ વધતાં તબીબની સલાહથી પરિવારજનોએ એમ્બ્યુલન્સ મારફતે સુરતની સિવિલ હોસ્પિટલમાં તા.૨૫મી એપ્રિલના રોજ દાખલ કર્યો. જ્યાં રેપિડ અને RTPCR રિપોર્ટ પોઝિટીવ આવ્યો. જેથી કોવિડ વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી, એ સમયે મારૂ ઓક્સિજન લેવલ ઘટીને ૮૪ ટકા થઈ ગયું હતું. જેથી તત્કાલ બાયપેપ પર રાખવામાં આવ્યો. જરૂરી સારવાર સાથે પ્લાઝમા પણ આપવામાં આવ્યું. ૧૫ દિવસ સતત બાયપેપ રાખ્યા બાદ તબિયતમાં સુધારો થતાં ત્રણ દિવસ NRBM ઓક્સિજન માસ્ક પર રાખ્યો. ડોકટરોની મહેનતના પરિણામે મારી તબિયતમાં ખાસ્સો સુધારો આવતા બે દિવસ નોર્મલ રૂમ એર પર રાખ્યો. સિવિલમાં કુલ ૨૦ દિવસની લાંબી સારવાર બાદ તબિયતમાં સુધારો આવ્યો, અને આખરે કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા તા.૧૪ એપ્રિલે રજા આપવામાં આવી. ૨૦ દિવસ સુધી કોરોના સામે સંઘર્ષમય લડત બાદ હું સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યો છું, જેનો સંપૂર્ણ શ્રેય સિવિલના મહેનતુ તબીબોને જાય છે.

             તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોનાથી ડર્યા વગર સારવાર લેવી જોઈએ. માનસિક રીતે ‘પોઝિટિવ’ રહી કોરોનાને ‘નેગેટિવ’ કરી શકાય છે. કોરોના થયો અને મારૂ ઓક્સિજન લેવલ ઓછું થઈ જવા છતાં બિલકુલ ગભરાયો નહિ, અને કોરોનાને મ્હાત આપી છે. ૨૦ દિવસની સારવારમાં ૧૫ દિવસ બાયપેપ પર રહ્યો એ મારા માટે ખૂબ કઠિન દિવસો હતાં. અમને નવી સિવિલના તબીબો પર વિશ્વાસ હતો, જેથી સારવાર માટે ભાવનગરથી સુરત આવ્યાં હતાં.

         સિવિલના સ્ટાફનો આભાર માનતાં તેઓ કહે છે કે, સિવિલમાં મળેલી નિ:સ્વાર્થ સારવારના કારણે આજે હું મારા પરિવારને ફરી વાર મળી શક્યો છું.

Vikramsinh Deshmukh

Managing Directore

Satish Deshmukh

Sub Editore

Share to