નેત્રંગ ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાયો

Share to

૭૫મો પ્રજાસત્તાક દિન: ભરૂચ જિલ્લો

-:જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરા:-

# ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે તેમાં ભરૂચ ગ્રોથ એન્જિનરૂપી દિવાલના પાયામાં રહેલું છે

# પ્રજાસત્તાક દિને દેશની ગુલામ પ્રજા રૈયતમાંથી નાગરિક બની:બંધારણ થકી સાચા અર્થમાં થયો સામાજિક ઉત્કર્ષ

# ભાંગ્યું ભાંગ્યું ભરૂચ ” થી ” ભવ્યાતિ ભવ્ય ભરૂચ “નું આપણાં સૌનું સપનું સાકાર થશે.

#વિકસિત ભરૂચના ધ્યેય થકી વિકસિત ભારત નિર્માણ માટે ભરૂચવાસીઓને રાષ્ટ્રનિર્માણમાં સક્રિય ભૂમિકા પુરી પાડવા કરી હાંકલ
————
કલેક્ટરશ્રીના હસ્તે નેત્રંગ તાલુકાના વિકાસ માટે ને રૂ.૨૫ લાખની ગ્રાન્ટ ફાળવણીનો ચેક જિલ્લા આયોજન અધિકારીશ્રીને એનાયત કર્યો
———–
ભરૂચ- શુક્રવાર- ભરૂચ ખાતે જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક પર્વ જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાની પ્રેરક ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના જીન કંમ્પાઉન્ડ ખાતે ઉજવાયો હતો.

આ પ્રસંગે પોલીસ પરેડની વિવિધ ટુકડીઓએ જિલ્લા કલેકટરશ્રી અભિવાદન ઝીલ્યું હતું.

જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાની એ પ્રજાસત્તાક પર્વની નિમિત્તે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક પર્વના આ પાવન દિને નેત્રંગની આ ધન્ય એવી ધરા ઉપર અનેક નામી- અનામી સ્વાતંત્ર વીરોના ચરણોમાં વંદન કરીને જિલ્લાના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતા જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ આજના આ શુભ પ્રસંગે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી , સરદાર વલ્લભભાઇ પટેલ તેમજ દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરને પણ સુમન અર્પણ કર્યા હતા.

વધુમાં તેમણે ઉમેરતા કહ્યું કે,વર્ષોથી ગુલામ રહેલ દેશ સર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્ર પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત થયો ત્યારે આ મહાન દેશના લોકો આ દિવસે ગુલામી તથા રૈયતમાંથી નાગરિક બન્યા અને તેઓને બંધારણ થકી સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, સાથે વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા,પ્રતિષ્ઠા અને તકની સમાનતા પ્રાપ્ત થઇ છે.

સ્વાતંત્ર્ય દિન એ આપણા સ્વાતંત્ર્ય વીરોના આપણા દેશ માટે આપેલા બલિદાનને તથા તેમના સપનાઓને યાદ કરવાનો દિવસ છે. સ્વતંત્ર વિરોના આઝાદ ભારતના સ્વપ્નનું ભારત એટલે એવુ ભારત જ્યાં નાગરિકો માટે સમાનતા, ન્યાય, સ્વાતંત્રતા અને બંધુતા હોઇ, બનાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી, અને આજે આપણે ગર્વથી કહી શકીએ કે ભારતના બંધારણે આ તમામ સ્વપ્ન પુર્તિ કરવા માટે વ્યવસ્થા આપી છે. આજે ૭૫ વર્ષની અંદર વિશ્વના અન્ય દેશો માટે આપણા દેશને આદર્શ દેશ તરીકે સ્થાપિત કર્યો છે તેમને ગૌરવભેર જણાવ્યું હતું.

આ પ્રસંગે તેમણે ભારતના બંધારણનો મહિમા દર્શાવતા જણાવ્યું કે,જે દેશ તમામ નાગરિકોને પોતાનો શાસનકર્તાને પસંદ કરી શકે તે બંધારણની તાકાત છે. આ બંધારણ થકી જ ઓરિસ્સાના નાનકડા ગામથી આગળ આવીને રાષ્ટ્રના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુ તથા વડનગરના એક સામન્ય પરિવારમાંથી આવતી વ્યક્તિ પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી બની શકે તો ભરૂચના નેત્રંગ વિસ્તારના નાગરિકોને પણ આવા ઉચ્ચ કક્ષાએ પહોચવાના સ્વપ્ન જોઈ શકે તે માટે બંધારણે જ અધિકાર આપ્યા છે.

વધુમાં, તાજેતરમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠાને આ પ્રસંગે યાદ કરતાં જણાવ્યું કે,રાષ્ટ્રના ભવ્ય ભૂતકાળમાં રામ રાજ્યનો જે મહિમા વર્ણવ્યો છે તેમ આઝાદીના ૭૫ વર્ષે સુશાસનના ચાર સ્તંભ નાગરિકોને સન્માન,ભયમુક્ત વાતાવરણ,સમાન ન્યાય તથા સમાન વ્યવહાર આપીને સાચા અર્થમાં રામ રાજ્યનો વારસા નિભાવ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

દેશના વિકાસમાં ભરૂચના ભૂતકાળ અને વર્તમાનની ઝાખી આપતાં તેમણે જણાવ્યું કે, ભરૂચના અનેક નામિ અનામી જેવા કે ભરૂચના પનોતા પુત્ર ક.મા.મુનશી તથા પડિત ઓમકાર ઠાકુર જેવાએ માતબર ફાળો આપ્યો છે ત્યારે વર્તમાનમાં નવા ભારતના નિર્માણમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે તેમાં ભરૂચ ગ્રોથ એન્જિનરૂપી દિવાલના પાયામાં રહેલું છે તેમ તેમણે ગૌરવભેર જણાવ્યું હતું.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ વિશે કલેકટરશ્રીએ જણાવ્યું કે,તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૩માં શરૂ શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની વર્ષ ૨૦૨૪ની ૧૦ મી આવૃત્તિમાં ૧૦૦ વધુ ભાગીદાર તરીકે દેશ વિદેશના અગ્રણીઓ તથા બિઝનેસ જગતના અગ્રણીઓ સહભાગી થયા તે જ આ સમિટને સફળતા જિલ્લા કલેકટરશ્રી ગણાવી હતી.
સરકારના પરિણામ લક્ષી આયોજનને કારણે ગુજરાત રોકાણકારોનું માનીતુ સ્થળ બન્યુ છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારના ઇઝ ઓફ ડુઇગ બિઝનેશ વધારવાના પ્રયાસોના પરિણામો સ્વરૂપે ભરૂચમાં વાયબ્રન્ટ ૨૦૨૪ અંતર્ગત ભરૂચ જિલ્લામાં ૫૩૬૮ MSME એકમો દ્વારા કુલ રૂ.૩૫,૦૯૪ કરોડના અને લાર્જ સેકટરના ૧૦૩૦ એકમો દ્વારા કુલ રૂ. ૧,૪૦,૬૨૮ કરોડના MOU કરવામાં આવ્યા છે જેના થકી ૨,૦૭,૦૯૭ જેટલા લોકો ને રોજગારી મળવાની નેમ જિલ્લા કલેકટરશ્રીએ વ્યક્ત કરી હતી.

આ વેળાએ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં નાગરિકોને સરકારના મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયત્નો વર્ણવતા જણાવ્યું કે, શૈક્ષણિક ક્ષેત્રમાં જ કુલ ૧૯.૭૪કરોડના ખર્ચે નિર્માણાધીન વિવિધ સંકુલની વિગત આપતા જણાવ્યું કે, જિલ્લાના વાલિયા તાલુકામાં આવેલ વાગલખોડ ગામે એકલવ્ય મોડલ સ્કુલ માટે રૂ. ૧૯ કરોડ,આદર્શ નિવાસી શાળા (કુમાર / કન્યા) તેમજ સરકારી કન્યા છાત્રાલય મંજુર કરવામાં આવેલ છે.જ્યારે સરકારી બોરીદ્રા એકલવ્ય મોડલ સ્કુલ માટે રૂ. ૩૬ કરોડ તેમજ ખાનગી શાળાઓમાં RTE (25%) લેખે ૧૦,૦૦૦ થી વધુ બાળકોને મફત પ્રવેશ આપવામાં આવેલ છે તેમ તેમણે જણાવ્યું હતું.

પીએમ જનમન કાર્યક્રમની સફળતા દર્શાવતા જિલ્લા કલેકટરશ્રી જણાવ્યું કે, નેત્રંગ ખાતે પીએમ- જન મન ઉજવણી દિવસ નિમિત્તે વિવિધ વિભાગોના ૯૮૮ લાભાર્થીઓને રૂ.૨૩૯.૭૪ લાખના યોજનાકિય લાભોનું વિતરણ કરાયુ તથા તે જ દિવસે પ્રધાનમંત્રી શ્રી દ્વારા આદિમ જુથોના એક લાખ આવાસો ના પ્રથમ હપ્તા લેખે રૂ. ૫૪૦ કરોડ વિતરણ કરી તેમજ ૪૭૬૯ કરોડના વિવિધ પ્રોજેક્ટ મંજુર કરવામાં આવેલ હતા. તેમજ વન અધિકાર અધિનિયમ અન્વયે આદિજાતી લાભાર્થીઓને વન જમીનના ચાલુ વર્ષે ૯૪૪ મંજુરી હુકમો આપવામાં આવ્યા છે. આમ આદિજાતીના વિકાસ માટે ગુજરાત સરકાર હંમેશા કટિબધ્ધ રહી છે તેમ તેમણે જણાવ્યું હતું.

ભરૂચ જિલ્લ્લો મા નર્મદાના આશીર્વાદથી અતિ પૌરાણિક પ્રવાસન સ્થળોથી ભરેલ જિલ્લો છે. ભરૂચ જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળો ઉલ્લેખ કરી ભરૂચ જિલ્લો ઇતિહાસને સમેટીને બેઠેલ સાંસ્કૃતિક ધરોહર ઝાંખી કરાવી હતી. નેત્રંગ તાલુકાની વાત કરતાં તેમણે કહ્યું હતું કે ૨૦૧૩માં અલગ તાલુકો બન્યા બાદ તેનો ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, નેત્રંગ તેમજ આજુબાજુનો વિસ્તાર પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસન સ્થળ બને તે માટે જિલ્લા વહીવટીતંત્રનો હંમેશા પ્રયત્ન રહેશે.

વધુમાં, સ્ત્રી સામર્થ્યની વાત કરતાં માઉન્ટન ગર્લથી ઓળખ પામેલી સિમા ભગત, આઈસ ગર્લના નામથી ઓળખ ધરાવતી દ્રષ્ટ્રી વસાવા અને ડોમેસ્ટીક કિક્રેટ પ્લેયર મુસ્કાન વસાવા તેમજ સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર લતાબેન દેસાઈ વગેરે જેવી નારી શકિતના ઉદાહરણો આપી તેમને આ પ્રસંગે બિરદાવ્યા હતા.

ગ્રોથ એન્જિનનું હબ ભરૂચ, ભાંગ્યું ભાંગ્યું ભરૂચ ” થી ” ભવ્યાતિ ભવ્ય ભરૂચ “નું આપણાં સૌના સપના સાકાર થશે. આમ વિકસિત ભરૂચના ધ્યેય થકી વિકસિત ભારત નિર્માણ માટે ભરૂચ જિલ્લાવાસીઓ પણ રાષ્ટ્રનિર્માણમાં સક્રિય ભૂમિકા પુરી પાડી રહ્યા છે.

આ પ્રસંગે, જિલ્લના વિવિધ સરકારી વિભાગોના ૧૪ જેટલા ટેબ્લો રજુ કરવામાં આવ્યાં હતાં. જેમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી, આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય સિક્લસેલ એનિમિયા નિર્મૂલન અભિયાન, પ્રાથમિક શાળા વિભાગ દ્વારા ચંદ્રયાન, લીડ બેંક ભરૂચ અંતર્ગત આત્મ નિર્ભર ભારત, જન સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ખાસ મતદાન જાગૃતિ અભિયાન , જળ – જાગૃતિ અભિયાન, જેવી વિવિધ થીમો આધારીત ૧૪ જેટલા ટેબ્લોએ લોકોને આકર્ષિત કર્યાં હતાં. તે સાથે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં એક ભારત શ્રેષ્ઠ ભારત, વિકસીત ભારત, સ્વચ્છતા અભિયાન, જળ એજ જીવન, ડાંગી નૃત્ય, વગેરે થીમ પર રજૂ થયેલો રંગારંગ કાર્યક્રમ લોકોએ રસ પુર્વક નિહાળ્યા હતા. આ તકે, પ્રથમ શ્રેષ્ઠ પ્લાટુન, ટેબ્લો તેમજ રજૂ કરવામાં આવેલી કૃતિઓમાંથી પ્રથમ શ્રેષ્ઠ કૃતિઓને ઈનામ આપવામાં આવ્યું હતું.

વધુમાં, કલેક્ટરના હસ્તે નેત્રંગ તાલુકાના વિકાસ માટે ને રૂ.૨૫ લાખની ગ્રાન્ટ ફાળવણીનો ચેક આ પ્રસંગે જિલ્લા આયોજન અધિકારીને એનાયત કરવામાં આવ્યો હતો. 75માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવતર અભિગમ અપનાવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાના પ્રતિષ્ઠિત કલાકારો, રમતવીર તથા સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર અગ્રણીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે કલેક્ટરશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો સર્વે શ્રી ઈશ્વરસિંહ પટેલ,શ્રી અરૂણસિંહ રણા, , શ્રી રમેશભાઈ મિસ્ત્રી, શ્રી રિતેશ વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા,અધિક નિવાસી કલેક્ટરશ્રી એન.આર.ધાધલ, બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી રાયસિંગભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વસુધાબેન વસાવા, નેત્રંગના સરપંચ શ્રી હરેન્દ્રસિહ દેશમુખ, જિલ્લા પંચાયત સભ્ય વર્ષાબેન દેશમુખ, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, વિવિધ સામાજિક સ્વૈરચ્છિાક સંસ્થાના આગેવાનો-હોદ્દેદારશ્રીઓ, વહાલા ભુલકાઓ, વડીલો, નાગરિકો, અન્ય આગેવાન પદાધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો.


Share to

You may have missed