ભરૂચ જિલ્લામાં રવિવારે ૬૦ કેન્દ્રો પર ૧૮૦૦૦ ઉમેદવારો ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રીની પરીક્ષા આપશે— પરીક્ષાર્થીઓને માર્ગદર્શનની જરૂર જણાય તો હેલ્પલાઈન નં.૦૨૬૪૨-૨૫૨૪૭૪ પર સંર્પક કરી શકશે— તમામ કેન્દ્રો પર ફરજ બજાવનાર અધિકારી-કર્મચારીઓને તાલીમબધ્ધ કરવામાં આવ્યા

Share to



ભરૂચ – શુક્રવાર – ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળની જાહેરાત ક્રમાંક:૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રીની સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા. ૦૭/૦૫/૨૦૨૩ ના રોજ બપોરે ૧૨:૩૦ કલાક થી ૧:૩૦ કલાક દરમ્યાન ભરૂચ જિલ્લાના ૬૦ પરીક્ષા કેન્દ્રોના ૬૦૦ વર્ગખંડોમાં યોજાનાર છે. જેમાં ૧૮૦૦૦ ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાર્થીઓને કોઈ મૂંઝવણ કે માર્ગદર્શનની જરૂર જણાય તો તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઈન ચાલુ કરવામાં આવી છે. જે માટે હેલ્પલાઈન નં. ૦૨૬૪૨-૨૫૨૪૭૪ પર સંર્પક કરી શકાશે.

આ પરીક્ષા આયોજનબધ્ધ રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાના તમામ કેન્દ્રો પર ફરજ બજાવનાર અધિકારી-કર્મચારીઓને આજે તા.૩ મેના રોજ તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે. જેની વિગતો જોઈએ તો, આ પરીક્ષાના સરળ સંચાલન માટે પરીક્ષા કેન્દ્રો પર બોર્ડ પ્રતિનિધિ ૬૦+૬, કેન્દ્ર નિયામક ૬૦+૬ વર્ગખંડ નિરિક્ષક ૬૬૨ , સુપરવાઈઝર ૨૪૬ અને સીસીટીવી ઓબ્ઝર્વર ૬૦ની નિમણૂંક કરવામાં આવી છે.
પરીક્ષાના પેપરો લાવવા અને લઈ જવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્ગ – ૧ ના બે અધિકારી અને એક નાયબ પોલીસ અધિક્ષક અથવા પોલીસ ઈન્સ્પેક્ટર અને હથિયારધારી એસઆરપીની ટીમને કામગીરી બજાવવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. જીલ્લામાં પરીક્ષાનિ કામગીરી સાથે અંદાજીત ૧૮૦૦ જેટલા અધિકારી /કર્મચારીઓ ફરજ બજાવશે.
જિલ્લાના દરેક કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને પરીક્ષાના સમયાનુસાર કેન્દ્રના મેઈન ગેટ પર મહિલા અને પુરૂષ કોન્સ્ટેબલો દ્વારા ફ્રિસ્કીંગ (ચકાસણી) કરવામાં આવશે. જે અનુસાર સવારે ૧૧ વાગ્યાથી પ્રવેશ શરૂ કરીને ૧૨ વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરી લેવાનો રહેશે. તે જ પ્રમાણે પરીક્ષાર્થીએ તેમને ફાળવેલા વર્ગરૂમમાં સવારે ૧૧-૩૦ વાગ્યાથી પ્રવેશ લઈ ૧૨-૩૦ સુધીમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. ત્યારબાદ પ્રવેશ મળશે નહીં. તેમ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ ) જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા જણાવવામાં આવ્યું હતું.


Share to

You may have missed