પોઇચા નદીમાં ડૂબી જવાની દુર્ઘટનામાં બાકીની એક વ્યક્તિને શોધવા માટે નર્મદા નદીમાં પાણી છોડવાનું બંધ કરાયું : એનડીઆરએફ અને ફાયર વિભાગની ટીમો ધ્વારા સઘન શોધખોળની ચાલી રહેલી કામગીરી

Share to



જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ૧૫૦થી વધુ મહેસુલ- આરોગ્ય અને પોલીસકર્મી NDRF બચાવ ટૂકડીઓ દ્વારા નદીના પટમાં ચાલી રહેલી શોધખોળ

રાજપીપલા, શુક્રવાર :- પોઇચા નજીક નર્મદા નદીના ત્રિવેણી સંગમ ખાતે ડૂબી જવાની ઘટનાથી પાણીમાં ગરકાવ થઇ ગયેલા સુરત સ્થિત પરિવારમાંથી કુલ ૬ વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા બાદ બાકીના એક હતભાગીની શોધખોળ છેલ્લા ચાર દિવસથી સતત હજુ પણ ચાલી રહી છે. આ કરુણાંતિકાની સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની રાહબરીમાં જિલ્લા વહીવટી તથા નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી સાથે પરામર્શમાં રહીને નર્મદા નદીમાં છોડવામાં આવતું પાણી હાલ બંધ કરી રેસ્ક્યુ ઓપરેશનને વધુ વેગવાન બનાવવામાં આવ્યું છે. તેના માટે નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ(NDRF)ની બે ટૂકડીની મદદ લેવામાં આવી રહી છે. તેઓ સતત શઓધખોળ એક વ્યક્તિની લાશ શોધવા દિન રાત એક કરી રહ્યા છે.

જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં બે NDRFની ટીમ પાંચ બોટમાં ૫૦થી વધુ સભ્યો, વડોદરા ફાયર ફાયટરની બે બોટ સાથે ૧૦ સભ્યો, કરજણ અને ભરૂચ ફાયર વિભાગની એક-એક ટીમ તેમજ રાજપીપલા નગર પાલિકાની ફાયર ટીમ તેમજ સ્થાનિક ૪ બોટ અને ૧૫૦ જેટલા મહેસુલી, પોલીસ, આરોગ્ય કર્મીઓ આ બચાવ કામગીરીમાં જોતરાયા છે. સમગ્ર કામગીરીનું સંકલન નાંદોદ પ્રાંત અધિકારીશ્રી ડો. કિશનદાન ગઢવી સ્થળ પર રહીને કરી રહ્યા છે. નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ ઓછો થતાં રેસ્ક્યુ ટીમો દ્વારા જ્યાં ઘટના બની હતી ત્યાંથી માલસર સુધી શોધખોળનો વ્યાપ વધારવામાં આવ્યો છે. હાલમાં ટીમો દ્વારા બોટ મારફત અને પગપાળા ચાલીને પણ શોધખોળ અને તપાસ કરવામાં આવી રહી છે.

આ ઘટના અંગે કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબેએ પણ સ્થળ પર પહોંચી બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. બચાવ કાર્યને વેગવાન બનાવ્યું છે. નદીના પાણીમાં ગરકાવ થયેલા પરિવારજનોને શાંત્વના પાઠવી હતી. અત્યારસુધીમાં ૭ હતભાગીઓ પૈકી ૬ ન્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે. હજી એક વ્યક્તિની શોધખોળ રેસ્ક્યુ ટીમો દ્વારા કરવામાં આવી રહી છે. પાણી નદીમાં છોડવાનું બંધ કરવાથી શોધખોળ કરવામાં સરળતા રહેશે.


Share to

You may have missed