નવી સિવિલની વુમન મિલ્ક બેંકમાં દુધનું દાન કરી સુરતની ૪૭૦૪ માતાઓ સાચા અર્થમાં મા યશોદા બનીઃ

Share to

સુરતઃશનિવારઃ- કોરોના કપરા કાળ વચ્ચે તાજા જન્મેલા જરૂરિયાતમંદ નવજાત શિશુઓને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ બાળ મૃત્યૃદરનું પ્રમાણ ધટે તેવા આશયથી સિવિલ હોસ્પિટલમાં હ્યુમન મિલ્ક બેંક કાર્યરત છે. તરછોડાયેલા બાળક હોય , અમુક માતાઓને બાળક જન્મ સમયે દુધ ન આવવાની સમસ્યા રહેતી હોય, પ્રિમેચ્યોર ડિલીવરી વખતે ઘણી માતાઓને ધાવણ ન આવવું જેવા કપરા સમયે નવજાત શિશુ માટે પ્રાણરક્ષક સાબિત થઈ રહી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ હ્યુમન મિલ્ક બેંક.
બાળ રોગ વિભાગના વડા ડો.વિજયભાઈ શાહે જણાવ્યું કે, નવી સિવિલમાં જે સગર્ભા મહિલાઓની ડિલીવરી થયા બાદ જો વધારે ફિડીગ આવતુ હોય તો તેવી માતાઓને બ્રેસ્ટ ફિડીંગનું મહત્વ સમજાવીને સ્ક્રીંનીંગ કરીને તેના બ્લડના રીપોર્ટ કરવામાં આવે છે. જેમાં એચ.આઈ.વી., કમળો, સીફિલીસ જેવા રોગોની તપાસ કર્યા બાદ રીપોર્ટ નોર્મલ આવે તો તેવી માતાઓનું દુધ ડોનેટનમાં લેવામાં આવે છે. આ ડોનેટ કરેલા દુધને પેશ્યરાઈઝ્ડ કરી તેનુ રેપીડ કુલીંગ થયા બાદ મિલ્કનું સેમ્પલ લઈને માઈક્રો બાયોલોજી ડિપાર્ટેમન્ટ રીપોર્ટ માટે મોકલવામાં આવે છે. દુધનો રીપોર્ટ નોર્મલ આવ્યા બાદ તેને ડીપ-ફ્રિજમાં (-૨૦)ના ડિગ્રી તાપમાને સ્ટોરેજ કરવામાં આવે છે. આ દુધની છ મહિના સુધી સાચવણી કરી શકાય છે.
વધુ વિગતો આપતા આસી.પ્રોફેસર ડો.વૈશાલી ચૌધરીએ જણાવ્યું કે, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન ૩૬૮ માતાઓએ ૭૩૪૬૦ મિલી લીટર મિલ્ક ડોનેટ કરીને સાચા અર્થમાં માતા યશોદા બની છે. જયારે ૪૧૩ જેટલા જરૂરીયાતમંદ બાળકોને ૬૯૮૩૦ મિલિ લિટર દુધ આપવામાં આવ્યું હતું. એપ્રિલ મહિના દરમિયાન એન.આઈ.સી.યુ.માં દાખલ ત્રણ પોઝીટીવ બાળકોને પણ ૩૪૮૦ મિલિ લિટર મિલ્ક આપવામાં આવ્યું હતું. આ હ્યુમન મિલ્ક બેંકમાં ડો.પન્ના બલસરીયા, ડો.ખુશ્બુ ચૌધરી, ડો.સુજીત ચૌધરી, સ્ટાફ નર્સ તન્વી પટેલ, મૌસમી પટેલ, ડિપલ સુરતી, વેશાલી ટંડેલ, અમિના મુલતાની સહિતની ટીમ દ્વારા અનેક બાળકોને નવજીવન મળ્યું છે.
નોંધનીય છે કે, આધુનિક હ્યુમન મિલ્ક બેંક તા.૩/૩/૨૦૧૯થી કાર્યરત છે. જેમાં આજદિન સુધીમાં કુલ ૪૭૦૪ માતાઓએ ૩૫૦૧૨૯ મિલિ લીટર દુધ ડોનેટ કર્યું છે. જે ૩૬૬૨ જરૂરીયાતમંદ બાળકોને આપવામાં આવ્યું હતું.


Share to

You may have missed