October 17, 2024

પ્રાકૃતિક ખેતી- ભરૂચ જિલ્લો *** નેત્રંગના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડના સહયોગથી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂતોને તાલીમ અપાઈ

Share to

*જમીન અને ઉત્પાદનનીની ગુણવત્તા જાળવી રાખવા ગાય આધારિત,પ્રાકૃતિક ખેતી અપનાવવા ગ્રામજનોને સમજ અપાઈ* ભરૂચ- ગુરુવાર – આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પર્યાવરણની ગુણવત્તા જાળવવી ખૂબ જરૂરી છે. જેમાં જમીનને પ્રદુષિત થતી બચાવવા અને ગુણવત્તાયુક્ત ખેતઉત્પાદ મેળવવા માટે પ્રાકૃતિક ખેતીનો વિકલ્પ મળે તેમ નથી. ત્યારે પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર વધારવા માટે રાજ્યસરકાર દ્વારા અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લા ખેતીવાડી વિભાગ, એગ્રિકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી પ્રત્યે ખેડૂતોમાં જાગૃતતા વધે તે માટે વિવિધ આયોજનો થઈ રહ્યા છે.

નેત્રંગના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડના સહયોગથી પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં સંસ્થાના વડાશ્રી મહેન્દ્રભાઈ પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. જમીન અને ઉત્પાદનનીની ગુણવત્તા જાળવી રાખવા ગાય આધારિત, પ્રાકૃતિક ખેતી અપનાવવા ગ્રામજનોને સમજ અપાઈ હતી. પ્રારંભિક ધોરણે ખેડૂતો કિચન ગાર્ડનમાં ગુણવત્તાયુક્ત અને રસાયણમુક્ત શાકભાજી કેવી રીતે ઉગાડી શકે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેઓને ખેતર, વાડો કે ઘર આંગણે વાવી શકાય તેવા શાકભાજીના વાવેતર અને ઉછેરની પણ સમજ આપી.

નેત્રંગના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે આ પ્રકારની તાલીમ અને માર્ગદર્શક કાર્યક્રમનું આયોજન થવાથી આજુબાજુના ગ્રામજનોએ પણ રાસાયણિક ખેતી છોડી ધીરે-ધીરે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે ઉત્સાહ દર્શાવ્યો છે.


Share to