વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ઝુંડા ગામે હનુમાનજીના મંદિર અને જય શ્રી ભાથીજી મહારાજના મંદિરે પુજા અર્ચના સાથે આરતીમાં સહભાગી થયા

Share to

નર્મદા જિલ્લામાં ‘વન સેતુ ચેતના યાત્રા’ નો ત્રીજો દિવસ

વન સેતુ ચેતના યાત્રાનો ઉદ્દેશ્ય વન વિભાગના કર્મચારીઓ અને આદીવાસીઓને વન સાથે નાતો જોડી રાખવાનો છે
– મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ


રાજપીપળા, શનિવાર :- સમગ્ર રાજ્યમાં તા.૧૮ મી જાન્યુઆરીથી પ્રારંભાયેલી ‘વન સેતુ ચેતના યાત્રા’ ના ત્રીજા દિવસે નર્મદા જિલ્લામાં વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ નાંદોદના ઝુંડા ગામે શ્રી સંક્ટમોચન હનુમાનજી મંદિર અને તિલકવાડાના ભાદરવા ગામે જય શ્રી ભાથીજી મહારાજ મંદિરે પુજા અર્ચના સાથે આરતીમાં સહભાગી થયા હતાં.

આ યાત્રા દરમિયાન વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, છોટાઉદેપુર સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીમસિંહ તડવી, ૧૪૮-નાંદોદ મતવિસ્તારના ધારાસભ્ય શ્રીમતી ડો.દર્શનાબેન દેશમુખ, સહિત ઉપસ્થિત મહાનુભાવોનું સ્થાનિક લોકોએ વાજિંત્રો સાથે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું કે, ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરનારી વન સેતુ ચેતના યાત્રાનો નવસારી જિલ્લામાં ઉનાઈથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શુભારંભ થયો હતો. આ વન સેતુ ચેતના યાત્રાનો ઉદ્દેશ્ય વન વિભાગના કર્મચારીઓ અને આદીવાસીઓનું વન સાથે નાતો જોડી રાખવાનો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ અને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આદિવાસી સમાજ માટે અનેક કલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરવામાં આવ્યા છે.

વધુમાં ઉમેર્યું કે, આગામી તા.૨૨ મી જાન્યુઆરી સુધી વિવિધ ધાર્મિક સ્થળો અને મંદિરો અને ગામોમાં સ્વચ્છતા અભિયાનને ઝુંબેશરૂપે ઉપાડી છે. ત્યારે જિલ્લામાં પણ વિવિધ સ્થળો પર સ્વચ્છતા જાળવવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી. સાથે આગામી તા.૨૨ મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે. આ કાર્યક્રમને નિહાળવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી મમતાબેન તડવી, ગરુડેશ્વર તાલુકા પંચાયત પ્રમુખશ્રી માગતાભાઈ વસાવા, તિલકવાડા તાલુકામાં પંચાયત પ્રમુખશ્રી પ્રેમજીભાઈ ભીલ, અગ્રણીશ્રી, નાયબ વન સંરક્ષકશ્રી નિરજકુમાર અને શ્રી મિતેશભાઇ પટેલ, સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને ગામના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Share to