રાજપીપળા-રામગઢ પુલ ઉપર પડેલી તિરાડ મા રાત્રી ના અંધકાર બાઈક સવાર પટકાતા બેભાન:-108 દ્વારા રેસ્ક્યુ કરાયો

Share to

રામગઢ તરફ થી આવતા વાહનો ને અટકાવવા માટે બેરીકેડિંગ કે સાઈન બોર્ડ નું અભાવ કોઈનું ભોગ લે તો નવાઈ નહીં

પ્રતિનિધિ રાજપીપળા:૭ જૂન ૨૦૨૧

તારીખ 6-6-2021 ના રોજ રાત્રી ના 11 ના સુમારે અંધકાર મા રામગઢ થી રાજપીપળા તરફ આવી રહેલા અજાણ્યા બાઈક સવાર યુવાન ને રામગઢ ના પુલ ની વચ્ચે ખોદી નાખેલી આડી નીક મા બાઈક ખાબકતા બાઈક સવાર યુવાન ઊંધા માથે પટકાયો હતો, અને દૂર સુધી ઘસડાઈ જઈ બેભાન બની ગયો હતો. અકસ્માત નો અવાજ આવતા પુલ ઉપર બેસેલા કેટલાંક યુવાનો દોડી આવ્યા હતાં અને ઇજા ગ્રસ્ત યુવાન ને ઢંઢોળવા નો પ્રયત્ન કરતા યુવાન બેભાન જેવી હાલત મા જતો રહ્યો હતો. બાઈક સવાર યુવાન ને હાથ અને માથા મા ગેબી માર વાગ્યો હોવાનું જણાય રહ્યું હતું. એ અરસામાં પરિસ્થિતિ ને જોતા કોકે 108 ને ફોન કરી દીધો હતો. કેટલીક વાર બાદ યુવાન એ સળવળાટ કર્યો હતો અને પાણી પીવડાવતા બેઠો થયો હતો. ત્યારે 108 આવી જતા ઇજા પામેલ અજાણ્યા યુવાન ને લઈ ને રવાના થઈ ગઈ હતી. આ બનાવ બાબતે માર્ગ અને મકાન વિભાગ ના સનલગ્ન અધિકરી સાથે ટેલિફોનિક સંપર્ક કરાતા “મારી બદલી થઈ ગઈ છે” તેમ જણાવી વાત ટૂંકાવી દીધી હતી.


તાજેતર માંજ કરોડો ના ખર્ચે બનેલા આ પુલ ના વચ્ચે નો સ્લેબ બેસી જતા તિરાડો પડવા માંડી હતી અને ભયજનક બનતા લોકો નું વાહન વ્યવહાર અટકાવી દેતા બોર્ડ મારી દેવાયા હતા, અને રીપેરીંગ કામ શરૂ કરાયું હતું પણ તિરાડો ને વધુ પોહળી કરી ખોદી નાંખ્યા બાદ સ્લેબ ના સળીયા ભયજનક રીતે ઉભા કરી દઈ એવીજ હાલત મા ત્યજી દઈ મજૂરો જતા રહેતા લોકો ના જોખમ મા ઔર વધારો થયો હતો. ઉભા કરી મુકેલા સળીયા કોઈના પગ મા ઘુસી જાય તેવા ભયજનક હતા. રાજપીપળા બાજુ થી વાહન ચાલકો ને અટકાવતા બેરીકેડિંગ મુકાયું પણ રામગઢ તરફ થી આવતા વાહનો ને અટકાવવા માટે કોઈ ચેતવણી દર્શાવતું બોર્ડ કે બેરીકેડિંગ મુકાયું નથી જેથી રાત્રિ ના સુમારે કેટલાક વાહન ચાલકો અજાણતા માં છેક પુલ ના તૂટેલા ભાગ સુધી આવી જાય છે અને અચાનક તૂટેલો રોડ દેખાતા ચમકી ને રોકાઈ જાય છે. માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ ની નિષ્કાળજી કોક નું ભોગ લેશે તેમ લાગી રહ્યું છે.

રાજપીપળા-રામગઢ ને જોડતા પુલ ને હજી બન્યા ના 6 મહિના ની અંદરજ સ્લેબ મા તિરાડો પડી ફાટી જતા ગુણવત્તા મા ખામી અને બાંધકામ મા ભ્રષ્ટાચાર થયો હોવાની ચાડી ખાતા પુરાવા ઉપસી આવ્યા હતાં, પબ્લિક ના ટેક્ષ ના પૈસા માંથી બનાવાયેલો આ પુલ શરૂઆત થીજ ભારે વિવાદો મા રહ્યો છે. પ્રજા ની કોઈ પણ જાત ની માંગ ન હોવા છતાં આ પુલ કોના લાભ માટે બનાવાયો છે અને પ્રજા ના કરોડો રૂપિયા કેમ ખર્ચાયા ? એ અલગ ચર્ચા નો વિષય છે. આ પુલ ની ઉપયોગીતા વિશે ભરૂચ જિલ્લાના સાંસદ અને રાજપીપળા મા રહેતા મનસુખ વસાવા શંકા જતાવી ચુક્યા છે. પ્રમાણિક રીતે ગુણવત્તા અને બાંધકામ મા વપરાયેલા મટીરીયલ ની તપાસ થાય તો ચોક્ક્સ ભ્રષ્ટાચાર ના પુરાવા મળે તેવી શકયતા નકારી શકાય નહિ


Share to