આરોગ્ય રાજયમંત્રી તા.૧૧મીએ સુરત જિલ્લામાં ‘મારૂ ગામ કોરોનામુકત ગામ’ અભિયાન હેઠળ આઈસોલેશન સેન્ટરોની મુલાકાત લેશે

Share to

સુરતઃસોમવારઃ– આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી આવતીકાલ તા.૧૧/૦૫/૨૦૨૧ના રોજ ‘મારૂ ગામ કોરોના મુકત ગામ’ અભિયાન સંદર્ભે જિલ્લાના ગામોમાં બનાવવામાં આવેલા કોવિડ આઈસોલેશન સેન્ટરની મુલાકાત તથા મીટીંગમાં હાજરી આપશે. જે અંતર્ગત સવારે ૧૦.૩૦ વાગે  ચોર્યાસી તાલુકાના ભટલાઈ ગામે, ૧૧.૩૦ વાગે ઓલપાડ તાલુકાના સાયણ ખાતે જીવન રક્ષા ચેરીટેબલ હોસ્પિટલ ખાતે કોવિડ સેન્ટરની મુલાકાત કર્યા બાદ બપોરે ૧.૩૦ વાગે કામરેજના ખોલવડ ખાતે દિનબંધુ હોસ્પિટલની મુલાકાત તથા મીટીંગમાં હાજરી આપશે.

“મારૂં ગામ, કોરોનામુક્ત ગામ” ઝુંબેશ ગ્રામ જનશક્તિના સહયોગથી

 કોરોનામુક્ત બનવા તરફનું આ સામૂહિક પગલું : કિશોરભાઈ કાનાણી

માંગરોળના તરસાડી (કોસંબા) અને ઉમરપાડા ખાતે “મારૂં ગામ, કોરોનામુક્ત ગામ” અભિયાનની કામગીરીની સમીક્ષા-માર્ગદર્શન માટે બેઠક યોજાઈ

સુરતઃસોમવાર: આરોગ્ય રાજ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીની અધ્યક્ષતામાં માંગરોળ તાલુકાના તરસાડી (કોસંબા) ખાતે નગરપાલિકાના સભાખંડમાં તેમજ ઉમરપાડા ખાતે “મારૂં ગામ, કોરોનામુક્ત ગામ” અભિયાનની કામગીરીની સમીક્ષા-માર્ગદર્શન માટે જિલ્લાના સંગઠન પદાધિકારીઓ, સામાજિક અગ્રણીઓ અને આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.

             બેઠકમાં આરોગ્ય રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કોરોનાને હરાવવા રાજ્ય સરકારે તમામ ગામોમાં “મારૂં ગામ, કોરોનામુક્ત ગામ” અભિયાનનો પ્રારંભ કરી પાણી પહેલાં પાળ બાંધવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતના ગામડાઓને સંપૂર્ણ કોરોનામુક્ત કરવાના અભિયાનને ગ્રામજનોનો વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. સુરત જિલ્લામાં ૧૨ CHC અને ૫૫ PHCના સહયોગથી તેમના વિસ્તારમાં આવતા ૫૭૨ ગ્રામ પંચાયતોમાં ગ્રામ જનશક્તિના સહયોગથી કોરોનામુક્ત બનવા તરફનું આ સામૂહિક પગલું છે એમ જણાવી મંત્રીશ્રીએ પરસ્પર સહયોગ સાધી યુદ્ધના ધોરણે કામ પર લાગી જવા અનુરોધ કર્યો હતો.

            મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગ્રામ વિસ્તારોના દરેક કોવિડ કેર સેન્ટરને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, રેફરલ હોસ્પિટલ સાથે લિન્કેજ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દરેક સેન્ટર ખાતે મેડિકકલ સ્ટાફ દ્વારા ઓછામાં ઓછુ એક વખત મેડિકલ ચેકઅપ અને જરૂર જણાયતો ૧૦૮ની રેફરલ સેવા પણ આપવામાં આવે છે. જિલ્લાની આરોગ્ય ટીમના સહયોગથી ગામમાં તાવ, શરદી અને ઉધરસવાળા દર્દીઓને ગામના અલાયદા આઈસોલેશન સેન્ટરમાં રાખવામાં આવશે, જેથી પરિવાર કે અન્ય ગ્રામજનો સુધી સંક્રમણ ન ફેલાય. આઈસોલેટ દર્દીઓનો કોરોના ટેસ્ટ કરાવવો જેમાંથી કોઇ પોઝિટીવ આવે તો તેને ત્યાં જ અલગ સારવાર આપવાંની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

            તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોનાની પડકારજનક પરિસ્થિતિમાં મહાનગરોમાં કોરોના કેસ ઘટી રહ્યા છે. પરંતુ ગામડાઓમાં કોરોના કેસ ન વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા  “મારૂ ગામ, કોરોનામુક્ત ગામ”નો આગવો અભિગમ રજૂ કરવામાં આવ્યો છે. રેમડેસિવિર ઈન્જેક્શનોની સમગ્ર દેશમાં તાકિદની જરૂરિયાત હોવાં છતાં રાજ્ય સરકારે એક માસમાં ૭ લાખ રેમડેસિવિરની વ્યવસ્થા કરીને ગુજરાતમાં કોરોનાના અનેક દર્દીઓના જીવન બચાવ્યા છે.

રાજ્યમાં ક્યાંય પણ મેડિકલ સ્ટાફની પણ ઘટ ના પડે તે હેતુથી ડોક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ વગેરેની ભરતી માટે રાજ્ય સરકારે જિલ્લા કલેકટરોને સત્તા આપી છે. એટલું જ નહિ, રાજય સરકાર દ્વારા ફેબી ફ્લ્યું સહિતની જરૂરી દવાઓનો રાજયના તમામ પી.એચ.સી. અને સી.એચ.સી.માં પૂરતો સ્ટોક  ઉપલબ્ધ કરાવી દીધો છે. અનેક પ્રજાલક્ષી નિર્ણયો કરીને કોરોના સામેનો જંગ જીતીશું, તેવો આત્મ વિશ્વાસ લોકોને આપ્યો છે એમ જણાવી સહયોગથી “મારૂં ગામ, કોરોનામુક્ત ગામ” અભિયાનને સફળ બનાવીશું એવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

             બેઠકમાં જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપ દેસાઈ, દિપકભાઈ વસાવા, યોગેશભાઈ સહિત અગ્રણીઓ, આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to