હકારાત્મકતા પ્રગતિ તરફ જયારે નકારાત્મકતા અધોગતિ તરફ દોરે છે- ડો.મતાઉદ્દીન ચિશ્તી

Share to



સમન્વય: ૨૦૨૪ના ભવ્ય આયોજનમાં એડવોકેટસ તથા તેજસ્વી તારલાઓનું સન્માન

પાલેજઃ મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી પ્રેરિત કડીવાલા ઘાંચી ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ‘સમન્વય: ૨૦૨૪’મા કડીવાલા સમાજના એડવોકેટસ તથા તેજસ્વી તારલાઓનું સન્માન, સ્નેહ મિલન અને કારકિર્દી માર્ગદર્શનનું આયોજન હિઝ હોલીનેસ મોટામિયાં ચિશ્તી એજયુકેશનલ કેમ્પસ, પાલેજ પાસે કરવામાં આવ્યું હતું. સમાજના નવ યુવાનો, વડીલો, મા- બહેનો વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ પોતાના અભૂતપૂર્વ સહકાર થકી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં તિલાવતે કુરઆનથી કરાઇ હતી તથા પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી બાવા સાહેબ તથા હિઝ હોલીનેસ હઝરત ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી બાવા સાહેબનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો દ્વારા તથા હાજર મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
ધોરણ ૧૦ અને ૧૨ તથા કોલેજ પછી ઉચ્ચ અભ્યાસ માટે વિવિધ પ્રવાહમાં બાળકોએ કયા કયા અભ્યાસક્રમમાં એડમીશન લઈ પોતાની કારકિર્દી બનાવી શકે છે તથા કારકિર્દી નક્કી કરતા પહેલા કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ તે બાબતે તલસ્પર્શી માહિતી પ્રેઝન્ટેશન દ્વારા કારકિર્દી માર્ગદર્શક પ્રોફેસર ડો. ઇશાક શેખ , અસ્ફાક કાપડીયા તથા સેક્રેટરી ઇમ્તીયાઝભાઈ મોદી દ્વારા  આપવામાં આવી હતી.
મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના ઉત્તરાધિકારી હઝરત ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી દ્વારા કડીવાલા ઘાંચી સમાજ અને મોટામિયાં માંગરોલની ગાદીના જોડાણ તેમજ જીવન ઉપયોગી બાબતો વિશે પ્રેરણાદાયક સંબોધન કરવામાં આવ્યું હતું, તેઓેએ જણાવ્યું હતું કે વડીલો માટે વિદ્યાર્થીઓને વિવિકનો પાઠ શીખવાડવો અતિશય જરૂરી છે, કોઇપણ સમાજની પ્રગતિમાં સમજ, સહકાર અને સંગઠનની ભૂમિકા અગત્યની હોય છે, હકારાત્મક ચોક્કસ પરિબળો ઉન્નતી તરફ અને નકારાત્મક પરિબળો અધોગતિ કે અવગતિ તરફ દોરી જાય છે, તેમણે બાળકના ઉદાહરણ થકી નિસ્વાર્થ ભાવ સાથે સંકળાયેલ બળ અને ઉર્જાનું મહત્વ સમજાવ્યું હતું.
ઇમરાનભાઇ કડીવાલા દ્રારા સમાજના SSC, HSC, સ્નાતક અને અનુસ્નાતક પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર સમાજના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓના નામ અને પરિણામ વિશે માહિતી આપવામાં આવી હતી, તેઓને બાવા સાહેબ તેમજ હાજર મહેમાનો અને સમાજના વડીલોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ટ્રસ્ટના તમામ સભ્યો અને હોદ્દેદારો સહિત સમગ્ર ટીમે કાર્યક્રમને પોતાનો સમજી ઉઠાવેલ જહેમત અને ભારે મહેનત તથા કામગીરીને વિશેષ બિરદાવવામાં આવી હતી.
આ ઉપરાંત કડીવાલા ઘાંચી ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી રફીકભાઇ કડીવાલા તથા ઉપપ્રમુખ ઈરફાનભાઇ કડીવાલા દ્વારા હાજર શ્રોતાઓને સંબોધી સૌનો આભાર માનવામાં આવ્યો હતો, કડીવાલા ઉત્કર્ષ ટ્રસ્ટની પરામર્શ સમિતી વતી એડવોકેટ હારૂનભાઇ દ્વારા માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન સમીરાબેન કડીવાલા દ્વારા કરવામાં આવ્યું હતું, અંતે સમસ્ત સમાજના તમામ ભાઇઓ, બહેનો તથા વડીલોની હાજરી અને સહકાર બદલ આભાર માનવામાં આવ્યો હતો, કાર્યક્રમના અંતે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.


Share to

You may have missed