આગામી જુનિયર કલાર્કની પરીક્ષાને લઈને ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જોષીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

Share to

*ભરૂચ જિલ્લામાં ૯ એપ્રિલે ૩૭ કેન્દ્રો પર ૧૧૪૦૦ ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે*

*પરીક્ષાર્થીઓને માર્ગદર્શનની જરૂર જણાય તો હેલ્પલાઈન નં.૦૨૬૪૨-૨૫૨૪૭૪ પર સંર્પક કરી શકાશે*

—–

ભરૂચ:શુક્રવાર: આગામી જુનિયર કલાર્કની પરીક્ષાને લઈને ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જોષીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.તેમણે જણાવ્યું હતું કે,ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળની જાહેરાત ક્રમાંક:૧૨/૨૦૨૧-૨૨ જુનિયર ક્લાર્ક,વહીવટ હિસાબ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા. ૦૯/૦૪/૨૦૨૩ ના રોજ બપોરે ૧૨:૩૦ કલાક થી ૧:૩૦ કલાક દરમ્યાન ભરૂચ જિલ્લાના ૩૭ પરીક્ષા કેન્દ્રોના ૩૮૦ વર્ગખંડોમાં યોજાનાર છે. જેમાં ૧૧૪૦૦ ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાર્થીઓને કોઈ મૂંઝવણ કે માર્ગદર્શનની જરૂર જણાય તો તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઈન ચાલુ કરવામાં આવી છે. જે માટે હેલ્પલાઈન નં. ૦૨૬૪૨-૨૫૨૪૭૪ પર સંર્પક કરી શકાશે.

*જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાયું સુચારુ આયોજન* 

     આ પરીક્ષા આયોજનબધ્ધ રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાના તમામ કેન્દ્રો પર ફરજ બજાવનાર અધિકારી-કર્મચારીઓને આજે તા.૬ એપ્રિલના રોજ તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે. જેની વિગતો જોઈએ તો, આ પરીક્ષાના સરળ સંચાલન માટે પરીક્ષા કેન્દ્રો પર બોર્ડ પ્રતિનિધિ ૩૭, કેન્દ્ર નિયામક ૩૭, વર્ગખંડ નિરિક્ષક ૪૨૧, સુપરવાઈઝર ૧૫૫ અને સીસીટીવી ઓબ્ઝર્વર ૩૭ની નિમણૂંક કરવામાં આવી છે. ઉપરાંત  પ્રાંત અધિકારીશ્રીઓની  ૪ ફલાઈંગ સ્કવોર્ડની રચના કરવામાં આવી છે. પરીક્ષાના પેપરો લાવવા અને લઈ જવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્ગ – ૧ ના બે અધિકારી અને એક નાયબ પોલીસ અધિક્ષક અથવા પોલીસ ઈન્સ્પેક્ટર અને હથિયારધારી એસઆરપીની ટીમને કામગીરી બજાવવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. જીલ્લામાં પરીક્ષાનિ કામગીરી સાથે અંદાજીત ૧૪૦૦ જેટલા અધિકારી /કર્મચારીઓ ફરજ બજાવશે.

જિલ્લાના દરેક કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને પરીક્ષાના સમયાનુસાર કેન્દ્રના મેઈન ગેટ પર મહિલા અને પુરૂષ કોન્સ્ટેબલો દ્વારા ફ્રિસ્કીંગ (ચકાસણી) કરવામાં આવશે. જે અનુસાર સવારે ૧૧ વાગ્યાથી પ્રવેશ શરૂ કરીને ૧૨ વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરી લેવાનો રહેશે. તે જ પ્રમાણે પરીક્ષાર્થીએ તેમને ફાળવેલા વર્ગરૂમમાં સવારે ૧૧-૩૦ વાગ્યાથી પ્રવેશ લઈ ૧૨-૩૦ સુધીમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. ત્યારબાદ પ્રવેશ મળશે નહીં તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે. વધુમાં આરોગ્ય લક્ષી સુવીધાની પણ જાણકારી આપી હતી.

*ઉમેદવારે પરીક્ષા ખંડમાં પ્રવેશ વખતે અચૂક ધ્યાન રાખવાની બાબત:*

 ઉમેદવાર પોતાની સાથે પરીક્ષા કેન્દ્રમાં માત્ર પોતાનો ફોટો ઓળખ પત્ર (ઇલેકશન કાર્ડ, ડ્રાઈવીંગ લાયસંસ,પાનકાર્ડ અથવા આધારકાર્ડ પૈકી કોઇપણ એક ફોટો ઓળખપત્ર અસલમાં), હોલ ટિકિટ (કોલ લેટર), બોલપેન સાથે પ્રવેશ કરી શકાશે.

*ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) વિધેયક વિશે પણ માહિતી આપી*

રાજ્ય સરકારે,પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયત્રંણ લાવવા માટે અને સામાન્ય લોકોનો વિશ્વાસ મેળવવા અને ટકાવી રાખવા તેમજ જાહેર ભરતી પરીક્ષામાં બિન- વિવાદાસ્પદ વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે સરકારશ્રી દ્વારા ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) વિધેયક: ૨૦૨૩ બહાર પાડવામાં આવેલ છે.

જેમાં વિધેયકની કલમ-૧૨(૪) મુજબ સંગઠિત ગુનો કરતી કોઇ વ્યક્તિ,પરીક્ષા સત્તામંડળ સાથે કાવતરું કરીને અથવા ગેરરીતિ આચરે અથવા આચરવાનો પ્રયત્ન કરે તો તે વ્યક્તિને સાત(૭) વર્ષથી ઓછી નહી અને વધુમાં વધુ દશ(૧૦) વર્ષની શિક્ષા થશે અને એક કરોડ રૂપિયાથી ઓછી નહિ તેટલી દંડની શિક્ષાને પાત્ર થશે.અને દંડની ચુકવણીમાં ચુક થાય તો આવી વ્યક્તિને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની જોગવાઇ અનુસાર કેદની શિક્ષાને પાત્ર થશે

સદરહુ વિધેયકમાં કલમ-૪ મુજબ જાહેર પરિક્ષા દરમિયાન પરીક્ષાર્થી/ઉમેદવારે મેળવેલી અનઅધિકૃત મદદ માટે દોષિત થાય તો કલમ-૧૨(૧) મુજબ ગેરરીતિ આચનાર કોઇ પરીક્ષાર્થી ત્રણ વર્ષ સુધી કેદની શિક્ષા અને એક લાખ રૂપિયા દંડની જોગવાઇ કરવામા આવેલ છે. અને દંડની ચુકવણીમાં ચુક થાય તો આવી વ્યક્તિને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની જોગવાઇ અનુસાર કેદની શિક્ષાને પાત્ર થશે તેમજ કલમ-૧૩ મુજબ જે પરીક્ષાર્થી ગુનામાં દોષિત ઠર્યો હોય તેને કોઈપણ જાહેર પરીક્ષામાંથી બે વર્ષની મુદત માટે બાકાત રાખવામાં આવશે.

સદરહુ વિધેયકની કલમ-૧૦ મુજબ વ્યવસ્થાપક મંડળ/ સંસ્થા અથવા અન્ય ધ્વારા કરવામાં આવતા પરીક્ષા સંબંધિત ગુના માટે દોષિત થાય તો કલમ-૧૫ મુજબ જાહેર પરીક્ષાને લગતો તમામ ખર્ચ અને નાણાં ચુકવવા માટે જવાબદાર થશે અને તેને કાયમ માટે પ્રતિબંધિત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.


Share to