તમામ કેન્દ્રો પર ફરજ બજાવનાર અધિકારી-કર્મચારીઓને તાલીમબધ્ધ કરવામાં આવ્યા
—–
ભરૂચ:ગુરૂવાર: ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળની જાહેરાત ક્રમાંક:૧૨/૨૦૨૧-૨૨ જુનિયર ક્લાર્ક,વહીવટ હિસાબ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા. ૦૯/૦૪/૨૦૨૩ ના રોજ બપોરે ૧૨:૩૦ કલાક થી ૧:૩૦ કલાક દરમ્યાન ભરૂચ જિલ્લાના ૩૭ પરીક્ષા કેન્દ્રોના ૩૮૦ વર્ગખંડોમાં યોજાનાર છે. જેમાં ૧૧૪૦૦ ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાર્થીઓને કોઈ મૂંઝવણ કે માર્ગદર્શનની જરૂર જણાય તો તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઈન ચાલુ કરવામાં આવી છે. જે માટે હેલ્પલાઈન નં. ૦૨૬૪૨-૨૫૨૪૭૪ પર સંર્પક કરી શકાશે.
*જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાયું સુચારુ આયોજન:*
આ પરીક્ષા આયોજનબધ્ધ રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાના તમામ કેન્દ્રો પર ફરજ બજાવનાર અધિકારી-કર્મચારીઓને આજે તા.૬ એપ્રિલના રોજ તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે. જેની વિગતો જોઈએ તો, આ પરીક્ષાના સરળ સંચાલન માટે પરીક્ષા કેન્દ્રો પર બોર્ડ પ્રતિનિધિ ૩૭, કેન્દ્ર નિયામક ૩૭, વર્ગખંડ નિરિક્ષક ૪૨૧, સુપરવાઈઝર ૧૫૫ અને સીસીટીવી ઓબ્ઝર્વર ૩૭ની નિમણૂંક કરવામાં આવી છે. ઉપરાંત પ્રાંત અધિકારીશ્રીઓની ૪ ફલાઈંગ સ્કવોર્ડની રચના કરવામાં આવી છે. પરીક્ષાના પેપરો લાવવા અને લઈ જવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્ગ – ૧ ના બે અધિકારી અને એક નાયબ પોલીસ અધિક્ષક અથવા પોલીસ ઈન્સ્પેક્ટર અને હથિયારધારી એસઆરપીની ટીમને કામગીરી બજાવવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. જીલ્લામાં પરીક્ષાનિ કામગીરી સાથે અંદાજીત ૧૪૦૦ જેટલા અધિકારી /કર્મચારીઓ ફરજ બજાવશે.
જિલ્લાના દરેક કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને પરીક્ષાના સમયાનુસાર કેન્દ્રના મેઈન ગેટ પર મહિલા અને પુરૂષ કોન્સ્ટેબલો દ્વારા ફ્રિસ્કીંગ (ચકાસણી) કરવામાં આવશે. જે અનુસાર સવારે ૧૧ વાગ્યાથી પ્રવેશ શરૂ કરીને ૧૨ વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરી લેવાનો રહેશે. તે જ પ્રમાણે પરીક્ષાર્થીએ તેમને ફાળવેલા વર્ગરૂમમાં સવારે ૧૧-૩૦ વાગ્યાથી પ્રવેશ લઈ ૧૨-૩૦ સુધીમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. ત્યારબાદ પ્રવેશ મળશે નહીં તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.
*ઉમેદવારે પરીક્ષા ખંડમાં પ્રવેશ વખતે અચૂક ધ્યાન રાખવાની બાબત:*
ઉમેદવાર પોતાની સાથે પરીક્ષા કેન્દ્રમાં માત્ર પોતાનો ફોટો ઓળખ પત્ર (ઇલેકશન કાર્ડ, ડ્રાઈવીંગ લાયસંસ,પાનકાર્ડ અથવા આધારકાર્ડ પૈકી કોઇપણ એક ફોટો ઓળખપત્ર અસલમાં), હોલ ટિકિટ (કોલ લેટર), બોલપેન સાથે પ્રવેશ કરી શકાશે.
