September 7, 2024

ઝઘડીયાના પાણેથા ગામે જેટકોના કર્મચારીને નવ જેટલા ઇસમોએ માર મારી ધમકી આપી..

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ડી એન એસ ન્યૂઝ ભરૂચ 19-05-22


ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા ગામે સબ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કર્મચારીને નવ જેટલા ઇસમોએ ગાળો બોલીને માર માર્યો હોવાની ફરિયાદ ઉમલ્લા પોલીસ મથકે નોંધવામાં આવી છે. ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના કરાડ ગામના મહેશભાઇ મંગુભાઇ પ્રજાપતિ છેલ્લા આઠેક વર્ષથી જેટકોમાં નોકરી કરે છે. હાલમાં નવેક મહિનાથી તેઓ અછાલિયા ડિવિઝનમાં આવેલ પાણેથા સબ સ્ટેશનમાં સ્વિચ બોર્ડ ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. ગત તા.૧૭ મીના રોજ સવારના નવેક વાગ્યાના અરસામાં તેઓ ફરજ પર હતા તે દરમિયાન સબ સ્ટેશનના મોબાઇલ પર પાણેથાના દર્પણ પટેલ નામના ઇસમનો ફોન આવ્યો હતો.

ફોન ઉપર જણાવેલ કે પાણેથા ગામમાં રબારી વાસમાં લાઇટ કેમ નથી? એમ કહીને ફિડર બંધ કરી દેવાનું કહ્યું હતું. ત્યારે મહેશભાઇએ કહેલ કે અમારાથી ફિડર બંધ નહી થાય, તમે વીજ કંપનીમાં કામ કરતા સેજલભાઇનો સંપર્ક કરો. ત્યારે તેમને ફોન પર ગાળો દીધી હતી. ત્યારબાદ રાતના સાડા અગિયારેક વાગ્યાના સમયે પાણેથાના દર્પણ પટેલ બીજા આઠ જેટલા ઇસમો સાથે મોટરસાયકલો પર પાણેથા સબ સ્ટેશનના કંટ્રોલ રુમમાં આવ્યા હતા, અને મહેશભાઇ સાથે ઝપાઝપી કરીને ગાલ પર તમાચા માર્યા હતા. દર્પણભાઇની સાથે આવેલ અન્ય ઇસમો પણ ગાળો બોલવા લાગ્યા હતા. અને હવે પાણેથા ગામમાં લાઇટ બંધ થઇ તો જાનથી મારી નાંખીશ એવી ધમકી આપીને તે લોકો મોટરસાયકલો ઉપર બેસીને જતા રહ્યા હતા. ત્યારબાદ મહેશભાઇએ દર્પણભાઇ પટેલ રહે.ગામ પાણેથા, તા.ઝઘડિયા તેમજ તેમની સાથે આવેલ અન્ય આઠ જેટલા ઇસમો વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

#DNS NEWS

#satishvasava


Share to

You may have missed