આગામી ૦૪ ઓગસ્ટ ૨૦૨૪ નાં ૨૪:૦૦ કલાક સુધી ૦૩ (ત્રણ) માસ માટે નર્મદામૈયા બ્રીજ ઉપરથી પસાર થતાં તમામ પ્રકારનાં ભારે તથા અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

Share to

ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૩૩ (૧ (બી) અન્વયે જાહેરનામું

આપાતકાલીન સેવા માટેનાં વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ


ભરૂચ-  મંગળવાર-  ગોલ્ડન બ્રીજને સમાંતર નવનિર્મીત નર્મદામૈયા બ્રિજનું લોકાર્પણ કરી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવેલ છે. નર્મદામૈયા બ્રિજ ટ્રાફીકનું ભારણ ઓછું કરવા માટે ઘણો સહાયક છે અને સદર બ્રીજ ખુલ્લો મુકાતા ટ્રાફિકનું ભારણ નહીવત રહેવા પામ્યું હતું પરંતુ ત્યારબાદ રાત્રીના સમયે ખાનગી મોટા વાહનો જેવાં કે ખાનગી બસ, ટ્રક જેવા ભારે વાહનો નર્મદામૈયા બ્રીજ પરથી પસાર થવાને કારણે નાના -મોટા અકસ્માતોમાં ખુબ જ વધારો થવા પામ્યો હતો.

          ભરૂચ જીલ્લાનાં સામાન્ય નાગરીકો દ્વારા વિડીયો તથા ફોટા દ્વારા સદર બાબતે ફરીયાદ કરવામાં આવી હતી. નર્મદામૈયા  બ્રિજ  ભરૂચ-અંક્લેશ્વર શહેરને જોડતો બ્રીજ હોય જેથી ભરૂચ- અંક્લેશ્વર ખાતે રોજીંદા નોકરીયાત તથા વેપારીઓ તથા સામાન્ય જનતા સદર બ્રીજ પરથી પસાર થાય છે. એ.બી.સી. સર્કલથી નર્મદામૈયા બ્રીજ તથા અંક્લેશ્વર તરફથી અવર-જવર કરતાં વાહનો/ મોટા વાહનો જેવા કે લક્ઝરી, બસો, ટ્રકો વિગેરેનાં કારણે ટ્રાફિકની સમસ્યા પણ રહે છે. એ.બી.સી. સર્કલથી નર્મદામૈયા બ્રીજ સુધીમાં મોટી હોટલો, કોમ્પ્લેક્ષ, મોલ તેમજ કોલેજો, બસ સ્ટેશન આવેલ છે. જેથી,  ભારે તથા અતિભારે વાહનોની અવર-જવરનાં કારણે જાનહાની થવાની પણ પુરતી સંભાવના રહેલ છે. જેથી નર્મદામૈયા બ્રીજ ઉપરથી ભારે તથા અતિભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ લાદવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થાય તેમ છે. તેમજ અકસ્માતનાં બનાવ ન બને તે માટે નર્મદામૈયા બ્રીજ ઉપરથી તમામ પ્રકારનાં ભારે તથા અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવો આવશ્યક જણાતો હોય આમુખ-૧ નાં જાહેરનામાથી તા. ૦૪/૦૫/૨૦૨૪ સુધી નર્મદા બ્રિજ ઉપરથી ભારે તથા અતિભારે  વાહનોની અવર- જવર ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામું  પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું અને તેની મુદ્દત વધારવી જરૂર જણાતી હોય નીચે મુજબ હુકમ કરવામાં આવે છે.
      તુષાર ડી. સુમેરા જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ, ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૩૩ (૧)
(બી) અન્વયે મળેલ સત્તાની રૂએ તા.૦૫/૦૫/૨૦૨૪ નાં રોજ ૦૦:૦૦ કલાકથી તા.૦૪/૦૮/૨૦૨૪ નાં રોજ ૨૪:૦૦ કલાક સુધી ૦૩ (ત્રણ) માસ માટે નર્મદામૈયા બ્રીજ ઉપરથી પસાર થતાં તમામ પ્રકારનાં ભારે તથા અતિભારે વાહનો જેવાં કે, ખાનગી બસ, તમામ પ્રકારનાં ભારે ટ્રકો, ટેમ્પા, ટેન્કરોની (ટુ વ્હીલર, શ્રી વ્હીલર, ફોર વ્હીલર કાર, શાકભાજી વહન કરતાં નાના લોડીંગ વાહનો તથા દૂધ વિતરણ સાથે સંકળાયેલ નાના લોડીંગ વાહનો સિવાયનાં તમામ વાહનો) ની અવર-જવર પર પ્રતિબંધ મુકવા આથી હુકમ કરવામાં આવે છે.

       વધુમાં જાહેરનામામાંથી આપાતકાલીન સેવા માટેનાં વાહનો જેવાં કે, એમ્બ્યુલન્સ, ફાયર બ્રીગેડનાં વાહનો તેમજ એસ.ટી. બસોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે.
    આ જાહેરનામાનાં આદેશનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ફોજદારી ધારાની કલમ-૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચની એક અખબારીયાદીમાં જણાવાયું હતું.


Share to