નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા તથા SoUના મુખ્ય કારોબારી અધિકારી શ્રી ઉદિત અગ્રવાલ IAS દંપતીએ સજોડે વડિયા કોલોની બુથ ખાતે મતદાન કર્યું

Share to

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪

નર્મદા જિલ્લાના તમામ મતદારોને મહત્તમ મતદાન કરીને સૌથી મોટી લોકશાહીને વધુ મજબૂત બનાવવા IAS દંપતીની અપીલ
—-
લોકશાહીના મહાપર્વમાં અચૂક સહભાગી બની આ અવસરને હર્ષભેર વધાવી લેવાની સાથે ભૂતકાળની મતદાનની ટકાવારી કરતાં પણ આ વખતે વધુ ઉંચી ટકાવારી નોંધાવીને મતદાન જાગૃતિની વિશેષ પ્રતીતિ કરાવવા જિલ્લાવાસીઓને અનુરોધ
—-
   રાજપીપલા, મંગળવાર :- લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે આજે યોજાયેલા મતદાનમાં વહેલી સવારે નર્મદા જિલ્લાના IAS દંપતી એવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા તથા SoUના મુખ્ય કારોબારી અધિકારી શ્રી ઉદિત અગ્રવાલે આજે ૧૮૪-વડીયા કોલોની બુથ ખાતે ભારતીય પરિવેશમાં સજોડે મતદાન કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુએ પણ સજોડે અહીં જ મતદાન કર્યું હતું. જ્યારે પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી પણ આ જ બુથ ખાતે મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા. આ બુથને PwD સંચાલિત પોલિંગ બુથ તરીકે વિકસાવવામાં આવ્યું છે. અહીં અન્ય નાગરિકો-મતદારો પણ મતદાન કરી રહ્યા છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. 

   લોકસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૪ અન્વયે ત્રીજા તબક્કા માટે આજરોજ યોજાયેલા મતદાનમાં સહભાગી થયા બાદ જિલ્લાના તમામ મતદારોને સમગ્ર રાજ્યમાં મહત્તમ મતદાન કરીને સૌથી મોટી લોકશાહીને વધુ મજબૂત બનાવવા IAS દંપતીએ મતદારોને ખાસ અપીલ કરી હતી.

   જિલ્લાના મતદાતાઓને તેમના મતાધિકારનો અચૂક ઉપયોગ કરીને લોકશાહીના મહાપર્વના આ અવસરમાં અચૂક સહભાગી બને, આ અવસરને હરખભેર વધાવી લેવા અને ભૂતકાળમાં નર્મદા જિલ્લાએ વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૨માં જિલ્લામાં મતદાનની નોંધાયેલી સરેરાશ કુલ-૮૨.૮૧ ટકાવારી, વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૭ માં જિલ્લામાં મતદાનની નોંધાયેલી સરેરાશ કુલ-૮૦.૬૭ ની ટકાવારી તેમજ લોકસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૯માં જિલ્લામાં મતદાનની નોંધાયેલી સરેરાશ કુલ-૮૦.૨૮ ની ટકાવારી, વર્ષ ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણીમાં ૭૮.૪૨% રાજ્યમાં સર્વોચ્ચ રહ્યો હતો. ગત તમામ ચૂંટણીઓ કરતા લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪માં મતદાનમાં વધુ ઉંચી ટકાવારી સાથે નવો વિક્રમ સ્થાપી મતદાર જાગૃતિની વિેશેષ પ્રતીતિ કરાવવા ખાસ અનુરોધ કર્યો છે.

   માધ્યમો સાથેના સંવાદમાં SoUના મુખ્ય કારોબારી અધિકારી શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં મતદાનની ટકાવારી ઉંચી રહે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને નિયમન સત્તામંડળ દ્વારા પણ જિલ્લા ચૂંટણી તંત્ર સાથે વ્હીલચેર અને પિંક રીક્ષાના એમઓયુ કર્યા છે. વ્હીલ ચેરનો ઉપયોગ કરી દિવ્યાંગ મતદારો અને વયોવૃદ્ધ મતદારો પોતાના મતાધિકારનો સરળતાથી ઉપયોગ કરી શકશે. સાથોસાથ વૃદ્ધો-વયસ્કોને મતદાન મથક સુધી લઈ જવા માટે પિંક રીક્ષા ચલાવવામાં આવશે. તેની સાથે SoU ના ગાઈડ મિત્રો પણ સેવા પુરી પાડી રહ્યા છે. પિંક રીક્ષા ચલાવતી બહેનો સૌ પ્રથમ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટણી પ્રક્રિયાની સેવામાં જોડાઈ જશે.

   વધુમાં શ્રી અગ્રવાલે ઉમેર્યું કે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઊભા કરાયેલા આદર્શ મતદાન મથકો પૈકી એકતાનગર-૧ ખાતેના બુથને જંગલ સફારીની થીમ ઉપર સજાવવામાં આવ્યું છે. તેમાં પણ SoU ઓથોરિટી દ્વારા સહયોગ પુરો પાડવામાં આવ્યો છે. જે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે.
  


Share to