દિલ્હીની સરહદો પર ફરી બેરિકેડ્‌સ મૂકી બંધ

Share to

(ડી.એન.એસ), અરૂણાચલ પ્રદેશ, તા.૩૧

સુપ્રીમ કોર્ટે ૨૧મી ઑક્ટોબરે દિલ્હીની સરહદે આંદોલન કરી રહેલા ખેડૂતોને જણાવ્યું હતું કે તેમને આંદોલનનો અધિકાર છે, પરંતુ તેઓ અનિશ્ચિત સમય સુધી રસ્તાઓ બ્લોક કરી શકે નહીં. આ સાથે સુપ્રીમ કોર્ટે ખેડૂત નેતાઓ અને પોલીસને રસ્તા પરના અવરોધો દૂર કરવા નિર્દેશ આપ્યા હતા.કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની ટીકરી અને ગાઝીપુર સરહદો ખોલી નાંખવાના મુદ્દે શનિવારે સાંજે નવો વળાંક આવ્યો છે. દિલ્હીની સરહદો ખોલી નાંખવાના સુપ્રીમ કોર્ટના આદેશ પછી દિલ્હી પોલીસે શનિવારે સવાર સુધીમાં ટિકરી અને ગાઝીપુર સરહદો પરથી સિમેન્ટના બેરિકેડ્‌સ, કાંટાળી તારની વાડ અને રસ્તા પર લગાવેલા ખીલ્લા સહિતના અવરોધો દૂર કરી દીધા હતા અને નાના વાહનોનો પરિવહન શરૂ કર્યો હતો. પરંતુ સાંજ સુધીમાં અચાનક ખેડૂતોએ આ રસ્તાઓ પર બેરિકેડ્‌સ મૂકી રસ્તા બંધ કરી દીધા હતા. સંયુક્ત કિસાન મોરચાએ એવી પણ જાહેરાત કરી કે, કેન્દ્ર સરકાર કૃષિ કાયદા પાછા ન ખેંચે ત્યાં સુધી દિલ્હીની સરહદો ખોલવામાં નહીં આવે અને ધરણા ચાલુ રહેશે.  સુપ્રીમ કોર્ટે ખેડૂત નેતાઓની ઝાટકણી કાઢ્યા પછી અંતે પોલીસે શુક્રવારે ગાઝીપુર સરહદે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેના એક કેરેજ વે પરથી અને શનિવારે સવાર સુધીમાં ટીકરી બોર્ડર પરથી સિમેન્ટના બેરિકેડ્‌સ, કાંટાળી તારની વાડ અને રસ્તા પર લગાવેલા ખીલ્લા સહિતના અવરોધો દૂર કરી દીધા હતા. આ અંગેની તસવીરો મીડિયા અને ઈન્ટરનેટ પર વાઈરલ થઈ હતી. આ સમયે સંયુક્ત કિસાન મોરચા સહિત તમામ ખેડૂત સંગઠનોએ કશું જ કહ્યું નહોતું. જાેકે, ટીકરી સરહદે પોલીસે બેરિકેડ્‌સ દૂર કર્યા પછી ખેડૂત સંગઠનો સક્રિય થયા અને લોખંડના બેરિકેડ લગાવીને પોતે જ બંને જગ્યાઓ પર રસ્તા બંધ કરી દીધા. આ સાથે જ તેમણે એવી પણ જાહેરાત કરી કે કેન્દ્ર સરકાર કૃષિ કાયદાઓ પાછા ન ખેંચે અને ખેડૂતોનું આંદોલન પૂરું થયા પછી જ દિલ્હીની બધી જ સરહદો ખૂલશે. અગાઉ ગાઝીપુર અને ટીકરી સરહદે અવરોધો દૂર કરાયા પછી અંતે ૧૧ મહિને રસ્તાઓ ખુલતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ખેડૂત નેતાઓ અને પોલીસ વચ્ચેની બેઠક પછી ટિકરી સરહદેથી પોલીસે સિમેન્ટના બેરીકેડ્‌સ સહિતના અવરોધો દૂર કર્યા હતા. દિલ્હીની સરહદો પર ખેડૂત નેતાઓએ આ રસ્તાઓ પર ટુ-વ્હિલર, થ્રી-વ્હિલર અને ફોર વ્હિલર જેવા નાના વાહનોને જવાની છૂટ આપી છે.  નાયબ પોલીસ કમિશનર (આઉટર) પરવિંદર સિંહે જણાવ્યું હતું કે, ખેડૂત નેતાઓ સાથેની બેઠક પછી સિમેન્ટના બેરીકેડ્‌સ, લોખંડના ખીલ્લા અને કાંટાળી તારની વાડ સહિતના અવરોધો દૂર કરાયા પછી દિલ્હીથી હરિયાણા તરફ જતો રસ્તો ખોલવામાં આવ્યો છે અને અહીં ટ્રાફિક હિલચાલ શરૂ થઈ ગઈ છે.


Share to