જૂનાગઢ માં ૭૫ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ જિલ્લાને એક જ દિવસે રૂ. ૭૮૧ કરોડના ૬૧૭ કામોની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી*

Share to




જૂનાગઢ મહાનગર, જિલ્લાના નગરો અને ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે અઢી-અઢી કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવણીની મુખ્યમંત્રીશ્રીની જાહેરાત*
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત*
દેશભરમાં પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી શરૂ કરનારું ગુજરાત એકમાત્ર રાજ્ય*
જૂનાગઢની પ્રજા સિંહ જેવી બહાદુર, અહીંના લોકોને નવાબને ના માત્ર ઝૂકાવ્યો પણ પાકિસ્તાન ભાગી જવા મજબૂર કર્યો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ* રાષ્ટ્રીય પર્વો બન્યા જનવિકાસ પર્વો* જૂનાગઢમાં વોંકળાના ટૂંક જ સમયમાં લાઈનદોરીથી દબાણો દૂર કરી કાળવા નદી ઊંડી કરાશે*વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાતના આગેકદમ*ગિરનાર પર્વત પર પીવાના પાણીની વ્યવસ્થા માટે રૂ.૨૫ કરોડના ખર્ચે નર્મદાના નીર પહોંચાડાશે*

જૂનાગઢ તા.૨૫ જાન્યુઆરી
સંત , શૂરા અને એશિયાની શાન એવા ગીરના સાવજની ભૂમિ એવા જૂનાગઢ ખાતે ૭૫મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાને એક જ દિવસે ૭૮૧ કરોડના ૬૧૭ કામોની ભેટ આપી હતી. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢ મહાનગર, જિલ્લાના નગરો અને ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે અઢી-અઢી કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત પણ કરી હતી. આ સાથે આવા રાષ્ટ્રીય પર્વ જન વિકાસના પર્વ બની ગયાનું તેમજ વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાતના આગેકદમ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
જૂનાગઢમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ, કૃષિ યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભવ્ય સાંસ્કૃતિક‘સોરઠ ધરા સોહામણી’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જૂનાગઢવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી. આ સાથે અહીંના પ્રજાજનોને સિંહ જેવા બહાદુર ગણાવતા તેમણે કહ્યું હતું કે, નવાબે જ્યારે જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાનો નિર્ધાર કર્યો ત્યારે, તમારા સિંહ જેવા પૂર્વજોને ના માત્ર તેને ઝૂકાવ્યો પણ નવાબને પાકિસ્તાન ભાગી જવા મજબૂર કર્યો.
જૂનાગઢના વિકાસ માટે મુખ્યમંત્રીશ્રીએ કરેલી કરોડો રૂપિયાની જાહેરાતને રાજ્યપાલશ્રીએ વિકાસવર્ષા સાથે સરખાવી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે, આમ તો સમગ્ર ગુજરાત વિકાસના સોપાન નક્કી કરી રહ્યું છે. પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરાવેલી પહેલી વાઇબ્રન્ટ સમિટથી લઈને છેલ્લી સમિટ સુધીમાં લગભગ રૂ. ૫૦ લાખ કરોડની રકમના એમ.ઓ.યુ. થયા છે. આ બધા નાણાં આવનારા પાંચ વર્ષમાં ગુજરાતમાં આવશે ત્યારે, ભારત તો ૨૦૪૭માં વિકસિત બનશે પણ ગુજરાત તો આવનારા પાંચ વર્ષમાં જ વિકસિત બની જશે. ગુજરાત આર્થિક વિકાસના ક્ષેત્રે પણ સમગ્ર દેશનું રોલમોડેલ બનશે.

ગુજરાત પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે, દેશભરમાં પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી શરૂ કરનારું ગુજરાત એકમાત્ર રાજ્ય છે. આગામી બે વર્ષમાં ગુજરાતની ખેતી ઝેર મુક્ત બને એ દિશામાં ગુજરાત સરકાર ખૂબ પરિશ્રમ કરી રહી છે.

જ્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરિક ભાઈ-બહેનોને ૭૫મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આ ૭૫મું પ્રજાસત્તાક પર્વ પણ આ વર્ષે આપણે ગરવા ગિરનારની ગોદમાં વસેલા આ જુનાગઢમાં જ જન ભાગીદારીથી જન ઉત્સવ તરીકે ઉજવી રહ્યા છીએ. જે જિલ્લામાં આવા પર્વ ઉજવાય ત્યાં લોકહિતના, પ્રજા કલ્યાણના અને સુવિધા સુખાકારીના કામોની અનેક ભેટ સરકાર આપે છે.

તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસ જેવા રાષ્ટ્રીય પર્વ હોય જન જનને સાથે રાખીને વિરાસતના ગૌરવ સાથે વિકાસની નવી તરાહ ઊભી કરી હતી તેને આગળ ધપાવતા ગુજરાતે રાષ્ટ્રીય પર્વો છેક જિલ્લા કક્ષાએ જન ભાગીદારીથી ઉજવીને આ પર્વોને તેમણે વિકાસ પર્વ બનાવ્યા છે.

તેમણે કહ્યું હતું કે, એક જ દિવસમાં એક સાથે એક જ મંચ પરથી રૂ. ૭૮૧ કરોડના ૬૧૭ કામો આપવાનું સૌભાગ્ય મને મળ્યું છે.ગિરનાર પર્વત પરના યાત્રા સ્થાનકોએ આવતા પ્રવાસીઓને પાણીની સુવિધા આપવા તળેટીથી ગિરનાર અંબાજી મંદિર સુધી, નર્મદાનું પાણી પહોંચાડવા માટે ૪ હજાર મીટર લાંબી પાઇપલાઇન નાંખવા માટે રૂ.૨૫ કરોડનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત જૂનાગઢના પરિક્રમા પથ પર કાયમી વ્યવસ્થાઓ કરવા માટે પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેની વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
સંતોની ભૂમિ વિકાસમાં પાછળ નહીં રહે તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા જૂનાગઢને વિકાસની તરાહમાં લાવવા માટે વોંકળાના ટૂંક જ સમયમાં લાઈનદોરીથી દબાણો દૂર કરી તેની સફાઈ કરવા સાથે કાળવા નદીને ઊંડી કરવા માટે તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
પ્રજાસત્તાક પર્વના યજમાન જૂનાગઢ મહાનગર, જિલ્લાના નગરો અને ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે મહાનગરના વિકાસ કામો માટે મ્યુનિસિપલ કમિશનરને રૂ. અઢી કરોડ, જિલ્લાની નગરપાલિકાઓ વિસ્તારોના વિકાસ માટે જિલ્લા કલેકટરને રૂ. અઢી કરોડ અને ગ્રામ પંચાયતોના વિકાસ કામો માટે જિલ્લા વિકાસ અધિકારીને રૂ. અઢી કરોડ ફાળવવાની મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી.

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણે અમૃતકાળમાં પ્રવેશી હવે આઝાદીની શતાબ્દી તરફ ડગ માંડ્યા છે. ૨૦૪૭માં જ્યારે દેશ સ્વતંત્રતાની શતાબ્દી ઉજવે ત્યારે વિકસિત ભારત@૨૦૪૭નો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ આપણે વિકસિત ગુજરાત@૨૦૪૭થી પાર પાડવો છે. આપણે તો એ માટેનો રોડ મેપ તૈયાર કરી લીધો છે અને હમણાં વાઇબ્રન્ટ સમિટમાં એનું લોન્ચિંગ પણ થઈ ગયું છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની આપણી પ્રતિબદ્ધતામાં દરેક મહાનગર, નગર, ગામ, દરેક નાગરિક સહભાગી બને તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.

આ અવસરે ૧૩ વ્યક્તિ વિશેષોનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત જિલ્લાની ગાથા વર્ણવતી ‘જાજરમાન જૂનાગઢ’નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિકાસ કાર્યો માટે અઢી-અઢી કરોડના ચેક જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા મહાનગર પાલિકા કમિશનરશ્રીને એનાયત કરવામાં આવ્યા હતા.
વિકાસકાર્યોની હેલી બાદ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિમંત્રીશ્રી રાઘવજી પટેલ સહિત તમામ મહાનુભાવોએ ‘સોરઠ ધરા સોહામણી’ નામની નૃત્યનાટિકા નિહાળી હતી. ૨૫૦ કલાકારોએ રજૂ કરેલી જૂનાગઢની ગાથાને મલ્ટિમીડિયા શો નિહાળીને સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ સાથે, જિલ્લામાં રોડ-રસ્તા, વીજ સબસ્ટેશન, આરોગ્ય કેન્દ્ર, પાણી પુરવઠો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામો એમ રૂ. ૧૦૦ કરોડના ૧૮૭ વિકાસ કામોના લોકાર્પણ, જિલ્લાના ગ્રામીણ વિસ્તારો સહિતના વિકાસને ગતિ આપતા ૧૫૦ કામો રૂ. ૮૮ કરોડના ખર્ચે હાથ ધરવા માટેનું ઈ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જૂનાગઢના પ્રભારીમંત્રી અને રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ , મુખ્ય સચિવ રાજકુમાર, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સર્વશ્રી દેવાભાઈ માલમ, સંજયભાઈ કોરડીયા, ભગવાનજીભાઈ કરગઠિયા, શ્રી અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની, રાજ્યપાલ શ્રી ના અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુ , પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય, પ્રભારી સચિવ શ્રી બંછાનિધિ પાની, માર્ગ મકાન વિભાગના સચિવ એ.કે. પટેલ , પ્રવાસન નિગમના એમ.ડી .આલોક પાંડે , અધિક સચિવ પ્રોટોકોલ જવલંત ત્રિવેદી , કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજેશ તન્ના , જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીરાંત પરીખ, આઈજી શ્રી નિલેશ જાજડીયા , જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા,ડિસ્ટ્રીક જજ શ્રી દવે,શહેર પ્રમુખ પુનિત શર્મા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to