ઈન્દોર મંદિર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 35 લોકોના થયા મોત

Share to


(ડી.એન.એસ)ઇન્દોર,તા.૩૧
દેશભરમાં ગઈ કાલે રામનવમી ધામધૂમથી ઉજવાઈ. ઈન્દોરમાં પણ મંદિરમાં રામનવમી ઉજવાઈ રહી હતી. ભગવાનના જન્મના બરાબર પહેલા જ મંદિરમાં આરતીની તૈયારી થઈ રહી હતી. ત્યાં તો કૂવાને કવર કરવામાં આવ્યું હતું તે ધસી પડ્યું. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બેલેશ્વર મંદિરના પૂજારી લક્ષ્મીનારાયણ શર્માએ આપવીતિ સંભળાવતા કહ્યું કે મારી આંખો સામે જેટલા હતા તે બધા કૂવામાં સમાતા ગયા. મે મારી આંખો સામે મોતનું તાંડવ જોયું. મે જોયું કે કેવી રીતે લોકો કૂવામાંથી નીકળવા માટે તડપી રહ્યા હતા. લાશો તરી રહી હતી. તેમણે વધુમાં કહ્યું કે તેઓ 2007થી આ મંદિરમાં પૂજા કરી રહ્યા છે. પોતાના જીવનમાં આ પ્રકારનો ભયાનક અકસ્માત આ અગાઉ ક્યારેય જોયો નથી. તેમણે કહ્યું કે કવર ધસી પડતા તેઓ પોતે પણ નીચે પડ્યા હતા. પરંતુ તેમને તરતા આવડે છે આથી તેઓ તરીને ઉપર આવી ગયા. પરંતુ આજુબાજુ અનેક મૃતદેહો તરી રહ્યા હતા. પૂજારીએ જણાવ્યું કે મંદિરમાં હંમેશા હવન બહારથી થતો આવ્યો છે પરંતુ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ છે એટલે હવન અંદર રાખવામાં આવ્યો હતો. અત્રે જણાવવાનું કે ઈન્દોરના કલેક્ટર ડો. ઈલ્યારાજા ટીના જણાવ્યાં મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 35 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે18 લોકોને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જેમાંથી 2 લોકોને ડિસ્ચાર્જ આપી દેવાયો છે. એક વ્યક્તિ હજુ પણ મિસિંગ છે. આર્મી, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો હજુ પણ સર્ચ અને બચાવ ઓપરેશન ચલાવી રહી છે. દુર્ઘટનાની ગંભીરતા જોતા મેજિસ્ટ્રેટિયલ તપાસના આદેશ આપી દેવાયા છે. જેના અકસ્માતના કારણોની ભાળ મેળવવાની સાથે સરકારી એજન્સીની ભૂમિકા પણ જોવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે તપાસ દરમિયાન એ પણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરાશે કે તત્કાળ કાર્યવાહીમાં કયા કયા અધિકારીઓ અને કર્મચારીઓ બેદરકારી વર્તી. અકસ્માતની 15 મિનિટની અંદર જ રાહત ટીમ પહોંચી ગઈ હતી. બીજી બાજુ રસ્સી તૂટનારો મહિલાનો જે વીડિયો છે તે રેસ્ક્યૂ ટીમ પહોંચ્યા પછીનો છે. ઘણા સમય સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાર્યા બાદ પણ જ્યારે કોઈ વિશેષ લાભ ન થયો તો સેના બોલાવવી પડી. ત્યારબાદ પાંચ કલાકની અંદર 21 મૃતદેહો બહાર કાઢી શકાયા. અત્યાર સુધીમાં 35 લોકોના મોત થયા છે. કલેક્ટરના જણાવ્યાં મુજબ હાલ રેસ્ક્યૂ ઓપરેશનમાં 140 લોકોની ટીમ લાગી છે. જેમાંથી 15 એનડીઆરએફ, 50 એસડીઆરએફ, 75 આર્મી જવાનો સામેલ છે. અકસ્માત બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કલેક્ટર સાથે વાત કરીને સ્થિતિની સમીક્ષા કરી. ત્યારબાદ તેમણે મૃતકોના પરિજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલો માટે 50 હજાર રૂપિયાનું વળતર જાહેર કર્યું. આ સાથે જ ઘાયલોની સારવારનો ખર્ચ સરકાર દ્વારા ભોગવવાની જાહેરાત પણ કરી. આ કડીમાં કેન્દ્ર સરકારે પણ પ્રધાનમંત્રી રાહત કોષમાંથી મૃતકોના પરિજનો માટે 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.


Share to

You may have missed