મચ્છર ભગાડનારી કોઈલ સળગાવીને સૂતો હતો પરિવાર, શ્વાસ રૂંધાઈ જવાથી 6 લોકોના મોત

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૩૧
દિલ્હીમાં મચ્છર ભગાડવા કે મારવા માટે ઉપયોગમાં લેવાતી કોઈલ અંગે ચોંકાવનારા સમાચાર આવ્યા છે. એક જ પરિવારના છ લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના દિલ્હીના શાસ્ત્રીપાર્ક વિસ્તારમાં ઘટી. મળતી માહિતી મુજબ આ પરિવાર મચ્છર ભગાડતી કે મારતી કોઈલ લગાવીને આરામથી ઊંઘી રહ્યો હતો. જ્યારે તેઓ સૂઈ રહ્યા હતા ત્યારે તેમના શ્વાસમાં કાર્બન મોનોક્સાઈડ કે જે રાતભર મચ્છર ભગાડનારી કોઈલના બળવાથી ઉત્પન્ન થયો હતો તે જવાથી તેમના મૃત્યુ થયા. દિલ્હીના નોર્થ ઈસ્ટ ડીસીપીએ આ માહિતી આપી. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા અને તપાસ શરૂ કરી દીધી છે. મચ્છર ભગાડનારી કોઈલમાં ડીડીટી, અન્ય કાર્બન ફોસ્ફોરસ, અને ખતરનાક તત્વો હોય છે. બંધ રૂમમાં મોસ્કિટો કોઈલ ચાલુ કરીને સૂઈ જવાથી અંદરનો ગેસ બહાર નીકળી શકતો નથી. કોઈલ બળતી રહે એટલે આખા રૂમમાં કાર્બન મોનોક્સાઈડ જમા થઈ જાય છે. રૂમમાં ઓક્સીજનની માત્રા ઘટી જાય છે. અને આવામાં કાર્બન મોનોક્સાઈડ વ્યક્તિના શરીરની અંદર જતો રહે છે. જેથી કરીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને શ્વાસ રૂંધાઈ જવાથી મોત નિપજે છે. એક રિસર્ચ મુજબ એક કોઈલ 100 સિગારેટ બરાબર જોખમી છે. જેમાંથી લગભગ 2.5 પીએમ ધૂમાડો નીકળે છે જે શરીર માટે ખુબ જ નુકસાનકારક છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઘટનાસ્થળ ફર્સ્ટ ફ્લોરનો એક રૂમ છે જેમાં કુલ 9 લોકો સૂઈ રહ્યા હતા. મૃતકોમાં 4 પુરુષ, એક મહિલા અને દોઢ વર્ષનો બાળક સામેલ છે. જ્યારે 2 લોકો સારવાર હેઠળ છે. જેમાંથી એક 15 વર્ષની છોકરી છે. એક વ્યક્તિને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ છે.


Share to