September 16, 2024

“કનુ અસામલિકર દલિત સાહિત્ય એવોર્ડ અર્પણ સમારોહ તા, 18.07.2021ના રોજ અમદાવાદમાં યોજાયો.

Share to



ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન- અમદાવાદના ઉપક્રમે, “કનુ અસામલીકર દલિત સાહિત્ય એવોર્ડ” વિતરણ સમારંભ, ગુજરાતી સાહિત્ય પરિષદના ગોવર્ધનરામ સભાખંડમાં યોજવામાં આવ્યો હતો. વર્ષ 2019-20 અને 2020-21નો દલિત સાહિત્ય એવોર્ડ અનુક્રમે જાણીતા ગુજરાતી દલિત કવિ શ્રી નિલેશ કાથડના કાવ્યસંગ્રહ “પીડાની ટપાલ” ને તેમજ સુપ્રસિદ્ધ ગુજરાતી દલિત સર્જક ,કવિ,વાર્તાકાર અને વિવેચક શ્રી ભી.ન.વણકરના વાર્તા સંગ્રહ “અંતરાલ”ને અર્પણ કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ સમારંભ ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનના પ્રમુખ, ગુજરાતના પ્રથમ હરોળના નવલકથાકાર, વાર્તાકાર ,ભારતીય સાહિત્ય અકાદમી -દિલ્હી દ્વારા સન્માનિત ડો. મોહન પરમારસાહેબના પ્રમુખ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વડોદરા એમ.એસ.યુનિવર્સિટીના પ્રોફેસર તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદના “પરબ” સામયિકના સંપાદક, વિવેચક,સાહિત્યના મર્મગ્ન,દલિત સાહિત્યના માર્ગદર્શક ડો.ભરત મહેતા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે તેમના વક્તવ્યમાં જણાવ્યા હતું કે જે જીવો છો એજ લખો.સીધેસીધું મૂકો.તમે ભોગવ્યું છે એ લખવાનો તમારો અધિકાર છે. કોઈની સાડીબારી રાખવાની નહીં એ સંદર્ભે નિલેશની કવિતા મને ગમે છે. અંતરાલની વાર્તાઓના દરેક પાત્રોના ભાવ, કથાનક અંગે વ્યક્ત થતી સામાજિક સંવેદના વિશે વાત કરી હતી.ડો.મોહન પરમારે જણાવ્યું કે થોડા વિપરીત સંજોગોના કારણે થોડા સમયથી મને લાગે છે કે દલિત સાહિત્યની ધારાનો લય મંદ પડ્યો છે.આજના સમારંભથી આ પ્રવાહ વેગવંતો બનશે. આ પ્રસંગે સુરતથી પધારેલા જાણીતા સમાજ સેવક ઉદ્યોપતિ શ્રી નાથુભાઈ સોસાએ ભારપૂર્વક કહ્યું હતું કે જયાં પણ રહો ખુમારીથી રહો.નંબર વન રહો. તેમના પૂર્વજો 200 વરસ પહેલાં ધીરધારનો વ્યવસાય કરતા હતાં એની માહિતી આપી હતી. બન્ને એવોર્ડ વિજેતા સર્જકોના સર્જન વિશે અનુક્રમે કવિશ્રી ધરમસિંહ પરમાર અને કવિશ્રી રમણ વાઘેલાએ વિદ્વતાપૂર્ણ વાત કરી હતી. સ્વાગત અને મહેમાનોનો પરિચય કવિ શ્રી દાન વાઘેલાએ આપ્યો હતો. આભારવિધી મુળજીભાઈ દધિએ કરી હતી. દિવંગત કવિ, વાર્તાકાર કનુ અસામલિકરના પત્ની ઉર્મિલાબહેન ખાસ હાજર રહ્યાં હતા.
આ એવોર્ડ વિતરણ સમારંભમાં ત્રણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.
કવિશ્રી દાન વાઘેલાના કાવ્ય સંગ્રહ વર્ણાગ્નિનું વિમોચન ડો.મોહનભાઈ પરમાર, કવિશ્રી ધરમસિંહ પરમારના પુસ્તક સ્વતંત્ર ભારતના અધિનાયકનું શ્રી નાથુભાઈ સોસા અને ડો. રમણ માધવના પુસ્તક ચરોતરની લોકબોલીનું વિમોચન ડો ભરત મહેતાએ કર્યુ હતું.
સમગ્ર સમારંભનું રસપ્રદ સંચાલન જાણીતા કવિશ્રી અશોક ચાવડાએ “બેદિલ”કર્યુ હતું.
આ પ્રસંગે જાણીતા સર્જકો, સર્વ શ્રી દલપત ચૌહાણ, સાહિલ પરમાર, દશરથ પરમાર, ડો.ભિખુભાઈ વેગડા, છગન બાજક, ગીરીશ રઢુકિયા, રમણ નળિયાદી,બાલક્રષ્ણ આનંદ, પારૂલ બારોટ, મંજુલા મકવાણા, રામ સોલંકી, સંજર ચૌહાણ, પત્રકાર નરેશ મકવાણા, કૌશિક પરમાર, શ્યામ સાંખટ, તેમજ નામી અનામી સર્જકમિત્રો,ભાવકમિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.

*રિપોર્ટર.વિશાલ ચૌહાણ દ્વારા ગીર ગઢડા*


Share to

You may have missed