September 7, 2024

હાલમાં વર્ષાઋતુમાં જાહેર જનતાએ આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવાના પગલાંઓ લેવા જરૂરી

Share to


જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ સોમવાર :- હાલમાં વર્ષાઋતુમાં ભરૂચ જિલ્લામાં વિજળી પડવાને કારણે પશુ મૃત્યુના બનાવ બનવા પામેલ છે, તો આ અંગે આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવાના પગલાંઓ લેવા જરૂરી છે. આથી જાહેર જનતાએ આકાશીય વીજળીથી બચવા માટે નીચે મુજબના પગલાં લેવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરેલ છે.
જ્યારે ઘરની અંદર હોવ ત્યારે :- વીજળીથી ચાલતા ઉપકરણોથી દુર રહેવું. તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો. બારી-બારણા અને છતથી દુર રહેવું. વીજળીના વાહક અને તેવી કોઈપણ ચીજવસ્તુથી દુર રહેવું. ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો, વોશબેસીન વગેરેના સંપર્કથી દુર રહેવું.
આકાશીય વીજળી સમયે જો ઘરની બહાર હોવ તો :- ઉંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે, જેથી તેનો આશરો લેવાનું ટાળવું તથા પશુઓને ઉંચા વૃક્ષો નીચે બાંધવાનું ટાળવું. આસપાસ ઉંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશરો લેવાનું ટાળવું. ટોળામાં રહેવાને બદલે છુટાછવાયા વિખરાઈ જવું. મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય, આથી મજબૂત છતવાળા મકાનમાં આશ્રય મેળવવો. મુસાફરી કરતા હોવ તો વાહનમાં જ રહો, મજબૂત છતવાળા વાહનમાં રહો. પાણી વીજળીને આકર્ષે છે, તેથી પુલ, તળાવો અને જળાશયોથી દુર રહો, પાણીમાં હોવ તો બહાર આવી જાવ.
વીજળી પડવાની શક્યતા :- જો તમારા માથાના વાઅ ઉભા થઈ જાય, ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દેવા, કારણ કે તમારી આસપાસ વીજળી ત્રાટકવા ઉપર છે તેમ સમજવું અને જમીન પર સૂવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવવા નહીં.
વીજળી/ઈલેક્ટ્રીકથી શોક લાગ્યા પછી :- લાકડા જેવી અવાહક વસ્તુ વડે શાર્ક લાગનાર વ્યક્તિને વીજપ્રવાહથી દુર ખસેડી દેવા. મેઈન સ્વીચ બંધ કરીને વીજપ્રવાહ બંધ કરી દેવો. કરંટ લાગનાર વ્યક્તિ દાજી ગયેલ હોય તો ઠંડું પાણી રેડવું. કરંટ લાગનાર વ્યક્તિના શ્વાસોશ્વાસ તપાસી સીધા ડૉક્ટરને જાણ કરવી. દાજેલા ભાગ ઉપર ચોંટી ગયેલ કપડાને ઉખાડવું નહી. આકાશીય વીજળીનો ઝટકો લાગે ત્યારે વીજળીને આંચકો લાગેલ વ્યક્તિને જરૂર જણાય તો સીપીઆર એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ અને તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઈએ.
આકાશી વીજળી થતી હોય તે દરમ્યાન રાખવાની સાવચેતીઓ :- વીજળીની સલામતી માર્ગદર્શિકા એ ૩૦ – ૩૦ નો નિયમ છે, વીજળી જોયા પછી ૩૦ની ગણતરી શરૂ કરવી, જો તમે ૩૦ ની પહોંચતા પહેલા ગાજવીજ સાંભળશો, તો ઘરની અંદર જાઓ. ગર્જનાના છેલ્લા તાળા પછી ઓછામાં ઓછા ૩૦ મિનિટ પ્રવૃત્તિઓ સ્થગિત કરો. ઈલેક્ટ્રીક વીજ ઉપકરણોને નુકસાન ન થાય તે માટે હંમેશા કામની સ્થિતિમાં અર્થીંગ રાખો. વણવપરાતા પ્લગ પ્લાસ્ટીક કવરથી ઢાંકી દેવા. ઈલેક્ટ્રીકના ઉપકરણો પાણીની લાઈન તથા ભેજથી દુર રાખવા. વીજળીના વાહકો વડે ઘરને આકાશી વીજળીથી સુરક્ષિત બનાવવું. તંત્રની સૂચના મુજબ સુરક્ષિત સ્થળે જતા રહેવું. શોર્ટસર્કીટથી વીજ પ્રવાહ આપોઆપ બંધ થઈ જાય તેવીએ સ્વીચ આપરવી. ઘરમાં દરેકને મેઈન સ્વીચની જાણ હોવી જોઈએ. ઈલેક્ટ્રીક કામના જાણકાર પાસે જ ઈલેક્ટ્રીક કામ કરાવવું. ઈલેક્ટ્રીક કામ કરતી વખતે વીજળીના અવાહક વસ્તુ ઉપર ઉભા રહેવું. ભયાનક આકાશી વીજળી થતી હોય ત્યારે સુરક્ષિત મકાનમાં જતા રહેવું. ભયાનક વીજળીના સંજોગોમાં ઝાડ નીચે ઉભા ન રહેવું. તમામ ઈલેક્ટ્રીક ઉપકરણોના પ્લગ કાઢી લેવા. ફીશીંગ રોડ કે છત્રી પકડી રાખવી નહી. ઈલેક્ટ્રીક થાંભલા/ટેલીફોન થાંભલાને અડકવું નહી.
હાલની ઋતુમાં લોકો આ જાગૃતિના પગલાં લઈ પોતાનું જીવન સુરક્ષિત બનાવવા વહીવટી તંત્ર તરફથી આગ્રહ ભરી વિનંતી કરવામાં આવે છે એમ નિવાસી અધિક કલેક્ટર ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.


Share to

You may have missed