અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

Share to

અંકલેશ્વર પ્રાંત અધિકારીશ્રી મતદાર જાગૃતતા રેલીને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું

“મતદારો જોગ લખી કંકોત્રી અને કરી અપીલ ચોક્કસ કરજો મતદાન “
*
સોશિયલ મીડિયામાં પત્રકારોએ ખાસ રીલ્સ બનાવી મતદારોને સપરિવાર મતદાન કરવા આહવાન કર્યું

ભરૂચ – સોમવાર –  ભરૂચ જિલ્લા લોકસભા બેઠક માટે આગામી ૭ મી મે ના રોજ યોજાનાર ચુંટણી અગાઉ મતદારોને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે તે માટે વહીવટી તંત્ર દ્વારા સામુહિક પ્રયત્નો આદર્યા છે. જેમાં વિવિધ સંસ્થાઓએ પણ સહભાગીદારી નોંધાવી છે. ત્યારે અંકલેશ્વરના પત્રકારોએ નવતર અભિગમ સાથે મતદાર જાગૃતતા રેલીને યોજી હતી. મતદાર જાગૃતતા રેલીને અંકલેશ્વર પ્રાંત અધિકારી અને અંકલેશ્વર વિધાનસભાના એ.આર.ઓ શ્રી બી. એ.જાડેજા અને મામલદારશ્રી કરણસિંહ રાજપુતે લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

   આ રેલી દરમ્યાન અંકલેશ્વરના પત્રકાર સમુદાયે લોકશાહીના આ મહાપર્વને ઉત્સવની રીતે ઉજવાય તે માટે ખાસ મતદારોને મત આપવા અપીલ કરતી અનોખી કંકોત્રી પ્રકાશિત કરી તેનુ વિતરણ મતદાર જાગૃતતા રેલી દરમ્યાન કર્યું હતુ. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં આ રેલી ફરી હતી. જેમાં લગ્ન પ્રસંગમાં જેમ જાન નીકળે તેવો માહોલ ઉભો કરાયો હતો.રેલીની સાથે સાથે બે સ્થળોએ લોકોને મતદાર માટે પ્રેરિત કરતા સિગ્નેચર બોર્ડ મુકાયા હતા જેમાં રાહદારીઓએ ઉત્સાહ ભેર પોતાના હસ્તાક્ષર કરી “હું મત આપીશ મારા પરિવાર સાથે ” એવી અપીલને આત્મસાત કરી હતી.
     આ રેલીમાં મત માટે અપીલ કરતા અનેક સુત્રો સાથેના પ્લે બોર્ડ પણ નિદર્શિત કરાયા હતા અને સોશિયલ મીડિયામાં મતદાન કરવાની અપીલ સાથેની રીલ્સ પણ વાયરલ કરવામાં આવી હતી.
          શહેનાઈની સુરાવલી સાથે આ રેલી અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઇ ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની હતી તો કેટલીક સંસ્થાઓએ રેલીનું માર્ગમાં સામૈયુ પણ કર્યું હતુ. આ જાગૃતતા રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.


Share to