જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં લોકો સ્વાસ્થ્યપ્રદ ખોરાક તરફ વળે તે માટેમિલેટ્સ મેળો યોજાયો૧૩ જેટલા સ્ટોલ્સના માધ્યમથી ખેડૂતોથી મેળવી ઉપયોગી જાણકારી

Share to



લોકો ફરી સ્વાસ્થ્યપ્રદ ખોરાક તરફ વળે તે માટે આંતરરાષ્ટ્રીય મીલેટ્સ ઉજવી રહ્યા છીએ: જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર જૂનો ખોરાક એવો બાજરા, જુવાર વગેરે જાડા તૃણધાન્ય ભૂલી જવાથી પોષણ ઘટવાની સાથે રોગોનું પ્રમાણ વધ્યું છે
જૂનાગઢ સ્વાદની લ્હાયમાં મનુષ્યે સ્વાસ્થ્ય ગુમાવ્યું છે. તેમ કહેવું ખોટું નહીં ગણાય. વધતી જતી બીમારીઓ પણ તેની સાબિતી આપે છે, આ સ્થિતિમાં લોકો ફરી બાજરી, જુવાર, સાંબો જેવા તૃણધાન્ય (મિલેટ્સ) તરફ વળે અને ખેડૂતો પણ જાડા તૃણધાન્ય પાકોનું વાવેતર વધારે તેવા આશય સાથે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરની અધ્યક્ષતામાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે તાલુકા કક્ષાના મીલેટ્સ મેળો યોજાયો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ-૨૦૨૩ને સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મીલેટસ્ વર્ષ તરીકે પણ ઉજવી રહ્યું છે.
ખેતીવાડી ખાતું અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમરે જણાવ્યું કે, બિનસ્વાસ્થ્યપ્રદ ખાન-પાનના કારણે લોકોનું સ્વાસ્થ્ય કથળ્યું છે. ત્યારે આ સ્થિતિમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના પ્રયાસોથી લોકો ફરી સ્વાસ્થ્યપ્રદ ખોરાક તરફ વળે તે માટે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મીલેટ્સ ઉજવી રહ્યું છે. આ સાથે તેમણે રોગોથી બચવા પ્રણાલીત બાજરો, જુવાર જેવા તૃણધાન્ય અપનાવવા માટે હિમાયત કરી હતી.
વ્યસન ત્યજવા અને તંદુરસ્ત રહેવા માટે તમાકુના માવા છોડી, દૂધમાંથી બનતા માવોની વાનગીઓ ખાવી જોઈએ તેમ જણાવતા તેમણે કહ્યુંકે, કૃષિ-ઋષિની સંસ્કૃતિને જીવંત રાખવા માટે સારા ખેડૂત બનવું પડશે. તેમ તેમણે ઉમેર્યું હતું. અંતમાં લોકો – ખેડૂતો અને પ્રજાકીય કાર્યો કરવા માટેની ઉત્સુકતા પણ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી વી.પી. ચોવટીયાએ જણાવ્યું કે, આપણો જૂનો ખોરાક એવો બાજરા, જુવાર ભૂલી જવાથી પોષણ ઘટવાની સાથે રોગોનું પ્રમાણ વધ્યું છે. આ સાથે આપણે તૃણધાન્ય પાકોના વાવેતરને પણ અવગણીયુ છે. ત્યારે હવે આંતરરાષ્ટ્રીય મીલેટ્સ યરની ઉજવણીથી લોકોમાં તૃણધાન્ય માટે જાગૃતિ આવી રહી છે ત્યારે મિલેટ્સના પોષણક્ષમ ભાવો પણ મળશે. વળી આ તૃણધાન્ય ઓછા ખાતર-પાણીથી થઈ શકે છે. આમ ,તૃણધાન્યાની નિકાસ પણ વધશે તેનો ખેડૂતોને લાભ પણ મળશે. વધુમાં તેમણે મગફળી અને કપાસના પાકના સંવર્ધન માટે ખેડૂત ઉપયોગી સૂચનો કર્યા હતા
નાયબ ખેતી નિયામક શ્રી એમ.એમ. કાસુન્દ્રાએ જમીન વારસામાં મળી, તેવી તંદુરસ્ત રહી નથી. આપણે જમીનને સુધારવી પડશે. તેની તંદુરસ્તી અને ફળદ્રુપતા વધારવા માટે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે જાણીતા લોકસાહિત્યકાર શ્રી લાખણશીભાઈ ગઢવીએ લોકજીવન, લગ્નગીતો, કહેવતો, પૌરાણિક કથાઓ વગેરેમાં બાજરો, જુવાર વગેરે જેવા તૃણધાન્યના ઉલ્લેખોને ટાંકીને બરછટ અનાજ લોકોના આહાર-વિહારમાં કેટલું ઉપયોગી છે. તેને આગવી શૈલીમાં પ્રસ્તુત કર્યું.
આ કાર્યક્રમના વિધિવત પ્રારંભ પૂર્વે કૃષિ યુનિવર્સિટીની બેકરી શાળાના બેકરી શાળામાં ફરજરત પ્રો. દિપ્તીબેન એસ. ઠાકરે આહારમાં મીલેટ્સનું મહત્વ અને તેના પોષક તત્વો વિશે વિગતવાર જાણકારી આપી હતી.
પ્રગતિશીલ અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શ્રી હિતેશભાઈ દોમડીયા એ પણ પ્રાકૃતિક ખેતી અને લાભો ની વિસ્તૃત જાણકારી આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ શ્રી મદદનીશ ખેતી નિયામક શ્રી એન.બી.ચૌહાણ કરી હતી.
આ તકે ખેતીવાડી, બાગાયત,આત્મા, સખી મંડળ, પશુપાલન, વન વિભાગ, એસ.એસ.કે., બાજરા સંશોધન કેન્દ્ર, જી.એન. એફ.સી., આયુર્વેદિક, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતનો સ્ટોલ આવા જુદા – જુદા ૧૩ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યાં હતા. જેના મારફતે ખેડૂતોએ જુદી-જુદી યોજનાઓ વગેરેની જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ કણસાગરા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન ઠુંમર, જિલ્લા-તાલુકા પંચાયતના ચેરમેનશ્રી-સદસ્યશ્રીઓ, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, સંશોધન નિયામક શ્રી માદરીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એન.બી. જાદવ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જે.ડી. ગોંડલિયા, નાયબ ખેતી નિયામક(તા. )શ્રી ડી.જી.રાઠોડ, નાયબ ખેતી નિયામક (વિ.) શ્રી એસ.એમ. ગધેસરિયા સહિતના અધિકારી પદાધિકારી અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to