ચૈત્ર માસ સાથે અંતિમ ચરણમાં પહોંચતી નર્મદા પંચકોશી પરિક્રમા

Share to



માં નર્મદાના દિવ્ય અને ભવ્ય રૂપને આકંઠ પૂજવા લાખો પદયાત્રીઓ પરિક્રમામાં જોડાયા 
——
વહીવટી તંત્રની ઉત્તમ વ્યવસ્થાઓ સાથે કદમ મિલાવી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ ઠેર ઠેર સેવાકેન્દ્રો થકી જનસેવા
——
   રાજપીપલા, સોમવાર:- નર્મદા જિલ્લામાં ચૈત્ર મહિના દરમિયાન તા. ૮ મી એપ્રિલથી શરૂ  થયેલી માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા અર્થે મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી આવી રહ્યા છે. ૦૮ મી મે સુધી ચાલનારી આ પરિક્રમાનો હજારો યાત્રિકો લાભ લઈ રહ્યા છે. પરિક્રમાના રૂટ પર ઠેર ઠેર સેવાકેન્દ્રો ઉભા કરાયા છે. જેમાં ચા-નાસ્તો, ફળ, તરબૂચ, કેળા, લીંબુ શરબત, રસના, શેરડી રસ, ઓઆરએસ લોકોને દવા વિનામૂલ્યે આપવામાં આવે છે. જેને પરિક્રમાવાસીએ હોંશેથી આરોગે છે. 

   શાળાઓમાં ઉનાળુ વેકેશન હોવાથી ભુલકાઓ-બાળકો સાથે સહપરિવાર નર્મદા પરિક્રમામાં લોકો ઉત્સાહભેર સવાર-સાંજ અને રાત્રિ દરમિયાન પણ ઠંડા પહોરે પરિક્રમા કરીને ધન્યતા અનુભવે છે. લોકો ઉનાળાની ગરમીમાં નર્મદા સ્નાન કરીને ઠંડકનો અહેસાસ કરી માં નર્મદાના ગુણગાન કરી રહ્યા છે.

   આ પરિક્રમામાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિકોએ પરિક્રમા કરી છે. ત્યારે રોજ-બરોજના દિવસોમા આવતા શ્રદ્ધાળુઓ માટે આરોગ્ય, પોલીસ, હોમગાર્ડ,ફોરેસ્ટ અને પરિક્રમામાં સોંપેલી સેવાઓ તેઓ ખડેપગે આપી રહ્યા છે. માં નર્મદાની પરિક્રમા કરતા બાળકો, યુવાનો અને મહિલાઓને હોડીનું ઘેલું લાગ્યું છે. તેની સાથે નર્મદા સ્નાન અને પરિક્રમામાં આવતા આશ્રમો-મંદિરોમાં પણ ભક્તિભાવ સાથે દર્શન કરી ધન્યતા અનુભવી શ્રદ્ધા-આસ્થા મજબૂત કરે છે.

   પરિક્રમાના ૧૪ કિમીના માર્ગ પર ઠેર ઠેર લાઈટ-પાણી અને વિસામો, ખળખળ વહેતા નર્મદાના નીર ઉપર કામચલાઉ બ્રીજ બનતા હવે તેના પરથી પસાર થતા સૌ પરિક્રમાવાસીઓ આનંદ અનુભવે છે. પરિક્રમાવાસીઓ જળચર માછલીઓને પણ લોટ, ગાંઠીયા, મમરા ખવડાવી પાણીમાં ઝૂંડમાં જથ્થાબંધ માછલીઓનો તરવરાટ જોઈને રોમાંચ અનુભે છે. માત્ર એટલું જ નહીં, પરિક્રમાના રૂટના રસ્તા પર લીલોતરી, ખેતી, કેળ, બાજરી, દિવેલા, શેરડી, શાકભાજી જોઈને પરિક્રમાર્થીની આંખોને ખૂબજ ટાઢક અનુભવી મનમોહક આકર્ષી રહ્યા છે.

   પદયાત્રામાં લોકો સંગીત, વાધ્યો સાથે સંગીતમય વાતાવરણમાં સુપ્રભાતે અને નિરવ શાંતિ વચ્ચે મંદિરના ઘંટારવ વચ્ચે નિજાનંદ આનંદ પામી રહ્યા છે. અને તેઓ તેમની ટુકડીમાં સફેદ વસ્ત્રો, ટોપી, ગમચો, કોટનના ખુલ્લા કપડા પહેરીને પરિક્રમા લોકો કરી રહ્યા છે. સાધુ સંતો પણ પોતાના શિષ્યો સાથે પરિક્રમામાં સહભાગી થી રહ્યાં છે. 

  નર્મદા જિલ્લા તંત્રના વિવિધ વિભાગો જિલ્લા પોલીસ તંત્ર, આરોગ્ય વિભાગ, DGVCL, SSNL સહિત વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ દિન-રાત તેમની ફરજો બજાવી રહ્યાં છે અને પરિક્રમાર્થીઓ માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા કરીને ધન્યતા અનુભવી રહ્યાં છે. પરિક્રમા હવે તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે. તેથી લોકોનો ધસારો અને શનિ-રવિની રજામાં પરિક્રમા કરવાનો લોકો ખૂબજ આગ્રહ રાખતા હોય છે. પરિક્રમાના રૂટ પર નર્મદે હર, નર્મદે સર્વદે, સૌને સુખ દે આશિષ સેવાકેન્દ્રના સેવકો પરિક્રમાવાસીઓને આપી રહ્યા છે.  


Share to