ભારતના માન. ઉપરાષ્ટ્રપતિશ્રી જગદિપ ધનખડજીના માર્ગદર્શન હેઠળ રાજયસભાનું પ્રતિનિધિ મંડળ ગુજરાત રાજ્યના ચાર દિવસના પ્રવાસે

Share to



રાજ્યસભા સચિવાલયના ૫૦ જેટલા સભ્યોનું ડેલીગેશન સ્ટડી ટુર માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાતે આવ્યા: એકતાનગર ખાતેના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી

સંયુક્ત સચિવશ્રી સ્વરાબજી બી.ની આગેવાનીમાં એકતાનગરની મુલાકાતે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને પ્રભાવિત થયાઃ એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્નું નજરે નિહાળ્યું


રાજપીપલા, રવિવારઃ- રાજ્યસભા સચિવાલય,ભારતીય સંસદ નવી દિલ્હી ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિશ્રી જગદિપ ધનખડજીના માર્ગદર્શન હેઠળ સ્ટડી ટુર માટે રાજ્યસભાના વિવિધ સંવર્ગના ૫૦ જેટલા પ્રતિનિધિ મંડળે એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિ મંડળ એકતાનગર સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને બે દિવસના રોકાણ દરમ્યાન એકતાનગર ખાતેના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી. આ ડેલીગેશન અહીં સાકાર થયેલા પ્રકલ્પોનો અને વિકાસ અંગે વિસ્તૃત અભ્યાસ કરશે. આ ડેલીગેશન સાથે ડાયરેક્ટર રાજ્યસભાના વિવિધ વિભાગના સચિવશ્રીઓ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયાના ડૉ. શુભાશ્રી પાણીગ્રહી પણ પ્રતિનિધિ મંડળ સાથે જોડાયા છે. આજે અંતિમ દિવસે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ વિસ્તાર અને પ્રવાસન નિયમન સત્તામંડળના ચેરમેન શ્રી અને ઇ.ચા. મુખ્ય સચિવશ્રી,ગુજરાત રાજ્ય મુકેશ પુરી સાથે મુલાકાત કરી હતી.

ગુજરાત રાજ્યના ચાર દિવસના પ્રવાસે આવેલા પ્રતિનિધિ મંડળે ગુજરાત વિધાનસભાની પણ મુલાકાત લીધી હતી બાદમાં બે દિવસના એકતાનગરના પ્રવાસે પધારી વિવિધ સ્થળોની મુલાકાત અને પ્રાકૃતિક નજારો અને જંગલ સફારી, આરોગ્ય વન, સરદાર સરોવર ડેમ, કેકટસ ગાર્ડન સહિત આસપાસના પ્રકલ્પોની મુલાકાત લીધી હતી.

પર્વતમાળાઓની વચ્ચે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટર ઉંચી સરદાર સાહેબની પ્રતિમા જોઈને ખુબ પ્રભાવિત થયા હતા અને સૌએ પોતપોતાના મોબાઇલમાં તસ્વીરો કંડારીને કાયમી યાદગીરી રૂપે કેદ કરી હતી.

સરદાર સાહેબની પ્રતિમા નિર્માણ અને પ્રદર્શનની, ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મ, વ્યુઈંગ ગેલેરી અને રાત્રિ દરમ્યાન યોજાતા ભવ્ય પ્રોજેકશન મેપીંગ શોને નજરે નિહાળ્યો હતો અને નર્મદા આરતીનો પણ ભાવપૂર્વક લાભ લીધો હતો.

એક્તાનગર ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિવિધ પ્રકલ્પો સાકાર કરવામાં આવ્યા છે તે જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા અને યુનિટી વોલ એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને સાકાર થતું જોઈને એકતાનગરની પ્રશંસા કરી હતી અને સ્વચ્છતા, સહિતની વ્યવસ્થાથી પણ ખૂબ પ્રભાવિત થયા હતાં.

મુલાકાતના છેલ્લા દિવસે રાજ્યસભા પ્રતિનિધિમંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ વિસ્તાર અને પ્રવાસન નિયમન સત્તામંડળના ચેરમેન શ્રી અને ઇ.ચા. મુખ્ય સચિવશ્રી,ગુજરાત રાજ્ય મુકેશ પુરી સાથે મુલાકાત કરી હતી, અને સંસદ ટી.વી માટે ખાસ ઇન્ટરવ્યૂ મુખ્ય કારોબારી અધિકારીશ્રી (CEO) ઉદિત અગ્રવાલનો લેવામાં આવ્યો હતો. મુલાકાત બાદ શ્રી પુરીએ સુશ્રી પાણીગ્રહીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ આપીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકરીશ્રી અંકિત પન્નું સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to