વડોદરામાં જૂથ અથડામણ મામલે બેઠક થઇ પૂર્ણગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જૂથ અથડામણ મામલે આકરાં પગલાં લેવાની ખાતરી આપી

Share to


(ડી.એન.એસ)સુરત,તા.૩૧
વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થમારાની ઘટના મામલે ગૃહ વિભાગ એક્શનમાં આવી ગયું છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે બેઠક કરી હતી અને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. વડોદરામાં આજે ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તેમાં કેટલાક અસમાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા પોલીસ કમિશનર સમશેરસિંહ, વડોદરા મહાનગરપાલિકા કમિશનર બંછાનીધિ પાની સહિતના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને સમગ્ર ઘટના મામલે જાણકારી મેળવી હતી. રાજ્યના પોલીસ વડા સહિતના અધિકારીઓ પણ વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા 15થી 17 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. હર્ષ સંઘવીએ શું કહ્યું?.. તે જાણો.. બેઠક બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ હતુ કે, રામનવમીની શોભાયાત્રામાં જે કોઈ લોકોએ પથ્થર નાંખવાના કામ કર્યા છે, તે લોકો ભવિષ્યમાં ક્યારેય પથ્થર તરફ જોશે નહીં, તેવાં કડક પગલાં ભરવામાં આવશે. એક એક ગુનેગારોને ઓળખી કાઢવા 354 સીસીટીવી કેમેરાની મદદથી રાતભર કામગીરી કરવામાં આવશે. એક્સ્ટ્રા ફોર્સ વડોદરામાં મોકલી આપવામાં આવી છે. રાતભર સુધી કોમ્બિંગ ચાલુ રાખવામાં આવશે. પથ્થરમારો કરનારા ભવિષ્યમાં ફરી વખત ધાર્મિક યાત્રા પર પથ્થરમારો ના કરે તે પ્રકારના કડક પગલાં લેવાની સૂચના સાથે એક્સ્ટ્રા પોલીસ ફોર્સને પણ વડોદરા મોકલવામાં આવી છે. સાથે સાથે અનુભવી અધિકારીઓને પણ વડોદરા રવાના કરવામાં આવ્યા છે.’ વડોદરા શહેરમાં લાગેલા કેમેરાઓની મદદથી આખી રાત સર્ચ કર્યા બાદ વધુ આરોપીઓ પકડવા માટેની સૂચના પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવી છે. શું હતી સમગ્ર ઘટના? તે વિષે જાણો… વડોદરામાં રામનવમીના શુભ અવસરે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે ભૂતળીઝાંપા નજીક શોભાયાત્રા પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. ત્યારે જૂથ અથડામણના દૃશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ સાંજના સમયે કુંભારવાડા વિસ્તારમાં પણ પથ્થરમારાની ઘટના બની હતી. ત્યારે પોલીસને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યાં હતા અને ટોળાને વિખેરવા પડ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, આ મામલે અત્યાર સુધીમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો 14થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.


Share to