નર્મદા જિલ્લામાં ૪.૧૬ લાખ મતદારો ૬૧૬ મતદાન મથકો ઉપર કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે

Share to

મુક્ત અને ન્યાયી મતદાન પ્રક્રીયા માટે નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ


જિલ્લામાં ૧૩૩ ક્રિટીકલ મતદાન મથકો ઉપર વિશેષ સુરક્ષા વ્યવસ્થા, ૩૦૯ મથકોનું લાઇવ વેબકાસ્ટિંગ થશે

હિટવેવ એકશન પ્લાન અંતર્ગત છાયડો, પાણી, બેઠક, આરોગ્યલક્ષી સુવિધા મતદારોને ઉપલબ્ધ કરાવશે

ગરમીની સ્થિતિને ધ્યાનમાં રાખી વહેલા મતદાન કરી લેવા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની નાગરિકોને અપીલ

ઝરણાવાડીમાં આદિવાસી સંસ્કૃતિ અને એકતાનગરમાં જંગલ સફારી દર્શાવતા આદર્શ મતદાન મથકની રચના

   રાજપીપલા, સોમવાર :- લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આવતી કાલે નર્મદા જિલ્લામાં ભરૂચ અને છોટાઉદેપુર બેઠક માટે મતદાન થવાનું છે, ત્યારે આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી તૈયારી અંગે માહિતી આપતા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ જણાવ્યું કે, મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજાઇ તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીની સ્થિતિને સ્થિતિને ધ્યાને રાખીને સવારના સમયે જ નાગરિકો મતદાન કરી લે એ માટે પણ અપીલ છે. આ ઉપરાંત હિટવેટ સામે ઓરઆરએસ, પાણી-છાંયડો, આરોગ્ય કાર્યકરની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

   સમુહ માધ્યમોના પ્રતિનિધિઓ સાથે વાતચિતમાં શ્રીમતી તેવતિયાએ કહ્યું કે, ભરૂચ બેઠક માટે ૧૩ અને છોટાઉદેપુર બેઠક માટે ૬ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ગત્ત એપ્રિલ માસની સ્થિતિએ ૪.૬૧ લાખ મતદારો નોંધાયા છે. તેમાંથી ૧૫૪૩૬ મતદારો પ્રથમ વખત મતદાન કરશે. દેડિયાપાડા અને નાંદોદ બેઠકમાં કુલ મળી ૬૧૬ મતદાન મથકો છે. તેમાંથી ૧૩૩ ક્રિટિકલ મથકો છે. ૩૦૯ મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવશે. ૨૪ શેડો એરિયાના મથકમાં વોકીટોકીની સુવિધા રાખવામાં આવી છે.

   મતદાનકર્મીઓને માહિતી આપતા તેમણે જણાવ્યું કે, ૬૧૬ મતદાન મથકો ઉપર ૩૦૮૦ મતદાનકર્મીઓ, ૫૪૪ સુરક્ષાકર્મીઓ ફરજ બજાવશે. આ તમામ મથકો માટે રિઝર્વ સહિતના ઇવીએમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આજે મતદાનકર્મીઓ તેમના સંબંધિત મથક ઉપર જવા માટે રવાના થયા છે. આ માટે ૬૦ મોટી એસટી બસ, ૨૩ નાની એસટી બસ, ૭૬ જીપની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ૧૨ જીપ ઇવીએમ ક્લસ્ટર માટે અને ૮૨ જીપ સેક્ટર ઓફિસરને આપવામાં આવી છે.

   કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે, આ ચૂંટણી સર્વસમાવેશક બની રહે તે માટે દિવ્યાંગ અને ૮૫ વર્ષથી ઉપરના મતદારોને હોમ વોટિંગની સુવિધા આપવામાં આવી છે. મતદાન મથકો માટે ૧૧૪ વ્હિલચેર આપવામાં આવી છે. એસઓયુ તંત્ર દ્વારા પણ વ્હિલચેરની ફાળવણી કરવામાં આવી છે. દ્રષ્ટિહિન મતદારો માટે ૭૭૩ બ્રેઇલ વોટર ગાઇડનું વિતરણ કરવામાં આવ્યું છે.

   ગ્રિષ્મ ઋતુના કારણે ગરમીના પ્રકોપથી બચવા સાથે મતદાન કરવાની અપીલ કરતા શ્રીમતી શ્વેતા તેવતિયાએ કહ્યું કે, મતદારો સવારના ભાગે જ મતદાન કરી લે ઇચ્છનીય છે. મતદારો સુતરાઉ કપડા પહેરે, પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરે, મતદાન કરવા આવે ત્યારે બાળકને સાથે ના લાવે તેવી સલાહ છે. એસ્યોર્ડ મિનિમમ ફેસેલિટીમાં મતદાન મથકો ઉપર મતદારો બેસવા માટે મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પીવાના પાણી, ઓઆરએસ સહિતની જરૂરી દવા સાથેની કિટ આપવામાં આવી છે. આરોગ્યકર્મીઓને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. વીજ વિક્ષેપ ના થાય તેની તકેદારી રાખવા માટે પણ વીજ કંપનીના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

   તેમણે એમ પણ ઉમેર્યું કે, આવતી કાલે મતદાન માટે શ્રમયોગીઓ, નોકરિયાતોને ફરજિયાત સવેતન રજા આપવાની છે. આ બાબતે કોઇ ફરિયાદ હોય તો જિલ્લા કંટ્રોલને જાણ કરી શકાય છે.

   નર્મદા જિલ્લામાં બે વિશેષ પ્રકારના મતદાન મથકોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં દેડિયાપાડાના ઝરણાવાડી ગામે આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતું મથક બનાવવામાં આવ્યું છે. જ્યારે, એકતાનગર ખાતે જંગલ સફારીની થીમ આધારિત મથદાન મથક બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, સખી, યુવા, દિવ્યાંગ મથકો પણ બન્ને વિધાનસભા મતવિસ્તારમાં બનાવવામાં આવ્યા છે.

   ચૂંટણી કાર્ડ સહિત અન્ય માન્ય પુરાવા અંગે તેમણે કહ્યું કે,  (૧)  પાસપોર્ટ, (૨)  ડ્રાઇવિંગ લાઇસન્સ, (૩)  કેન્દ્ર કે રાજ્ય સરકાર, જાહેર ક્ષેત્રના એકમો, પબ્લિક લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને આપેલા ફોટા સાથેના સેવા ઓળખકાર્ડ, (૪) બેંક કે પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલ ફોટો સાથેની પાસબુક, (૫) પાનકાર્ડ, (૬) એન.પી.આર. હેઠળ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ, (૭)  નરેગા જોબકાર્ડ, (૮) શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલું આરોગ્ય વીમા કાર્ડ સ્માર્ટ કાર્ડ, (૯) ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ, (૧૦)  સંસદસભ્યશ્રી, ધારાસભ્યશ્રી અથવા વિધાનપરિષદના સભ્યોને આપવામાં આવેલ ફોટો  ઓળખ કાર્ડ,(૧૧) આધાર કાર્ડનો સમાવેશ થાય છે. વોટર ઇન્ફર્મેશન સ્લીપ એ માન્ય પૂરાવો નથી. મતદાન મથક અંદર મોબાઇલ લઇ જવા ઉપર પ્રતિબંધ છે. તેથી મોબાઇલમાં દર્શાવી શકાય એવા ડિઝીટલ પૂરાવા મતદાન કરવા માટે માન્ય ગણાશે નહીં.

   કલેક્ટરશ્રીએ સપરિવાર મતદાન કરવા જવાનું આહ્વાન કરતા કહ્યું કે, નર્મદા જિલ્લામાં સરેરાશ મતદાનનું પ્રમાણ સારૂ છે. આ વખતે પણ નાગરિકો મોટા પ્રમાણમાં મતદાન કરી લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવશે અને નર્મદા જિલ્લાની પરંપરા જાળવી રાખશે, તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.

   જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબેએ સુરક્ષા વ્યવસ્થાની મહત્વપૂર્ણ જાણકારી આપી હતી અને તમામ મતદાન મથકો ઉપર પૂરતા પ્રમાણમાં સુરક્ષાકર્મીઓ ફરજ બજાવશે, તેમ કહ્યું હતું.

   આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટર શ્રી ચેતન ઉંધાડ, તાલીમી સહાયક કલેક્ટર સુશ્રી પ્રતિભા દહિયા અને મુસ્કાન ડાગર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મૌલિક દોંગા ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed